અમેરિકાના 145 ટકા
ટેરિફના જવાબમાં ચીને અમેરિકાની તમામ પ્રોડક્ટ પર 125 ટકા
સુધીનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આમ, ચીને અમેરિકા પર 84 ટકાનો ટેરિફ વધારીને 125 ટકા કર્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારયુદ્ધ
વકરવું વિશ્વ માટે ચિંતાની વાત છે. બંને દેશ ટેરિફ ટકરાવનો ઉકેલ લાવી શકે એમ હોવા છતાં
ટકરાવનો માર્ગ પસંદ કર્યો છે. ચીને અમેરિકાનાં પગલાંને `એકતરફી બદમાશી' લેખાવ્યું છે.
ચીને કહ્યું છે કે, જો અમેરિકા ચીનનાં હિતોનું ઉલ્લંઘન કરવા પર
ભાર મૂકે છે, તો ચીન દૃઢતાથી વળતું પગલું લેશે અને અંત સુધી લડશે..
સવાલ એ છે કે, અંત સુધી લડવાનો અર્થ શું થાય છે? બે વિશ્વની મહાશક્તિનું આ રીતે સામસામા લડવું અને કોઈ પણ પ્રકારના અંતની ચર્ચા
કરવી અફસોસની વાત છે. શું ચીન ટેરિફના અંત સુધી લડવા ઈચ્છે કે અમેરિકાના અંત સુધી?
ચિંતાની વાત છે કે, સ્વયં શી જિનપિંગે અમેરિકાની
વિરુદ્ધ કટિબદ્ધતા અને સખતાઈ દાખવી છે. ચીન નથી ઈચ્છતું કે, પોતે
નમતું જોખે છે કે કૂણું પડે છે, એવી ચર્ચા પણ થાય. ચીનના રાષ્ટ્રપ્રમુખ
શી જિનપિંગે યુરોપિયન સંઘને આ એકતરફી બદમાશીનો વિરોધ કરવામાં બીજિંગ સાથે હાથ મિલાવવા
આગ્રહ કર્યો છે. અમેરિકાનાં વલણમાં ટેરિફ મુદ્દે જે આડોડાઈ કે દાંડાઈ છે, એ ચાલુ રહી તો શત્રુનો શત્રુ મિત્રના ન્યાયે ચીન-યુરોપ કુલડીમાં ગોળ ભાંગશે?
જો કે, યુરોપિયન દેશોને હાલ તો રાહત મળી છે અને
આમ પણ અમેરિકાની વિરુદ્ધ વધુ કડકાઈ તેમને માફક આવે એમ નથી. જો કે, યુરોપ અને ચીન વચ્ચે સંપર્કો વધુ દૃઢ થશે. યુરોપ સંપન્ન બજાર છે, જ્યાં પોતાનાં ઉત્પાદનો વેચી ચીન લાભ મેળવતું આવ્યું છે. સવાલ એ ઊભો થાય છે
કે, યુરોપિયન દેશો ચીન માટે પોતાનું બજાર વધુ મોકળું કરશે,
તો વળતરમાં બીજિંગ પાસે આવી જ આશા નહીં રાખે? વર્ષોથી
ચીનની એક જ નીતિ છે, અન્ય રાષ્ટ્રો સાથેના વેપારમાં વધુમાં વધુ
ફાયદો પોતાનો થાય એ જોતું આવ્યું છે. સવાલ થાય છે કે, સ્વયં ચીન
કે યુરોપિયન દેશ પોતાની વૈશ્વિક જવાબદારીઓને પૂર્ણ રીતે નિભાવે છે ખરા? દાયકાઓ જૂનું એક સત્ય એ છે કે, યુરોપિયન દેશ માત્ર પોતાની
સમસ્યા મહત્ત્વપૂર્ણ ગણે છે. અન્ય દેશોની સમસ્યા સાથે યુરોપને ખાસ લેવાદેવા નથી હોતી.
આવામાં ચીન અને યુરોપિયન દેશો વચ્ચેના સંબંધો કેવી રીતે આગળ વધશે. વિશ્વ વ્યાપારમાં
જે દેશોનો હિસ્સો વધુ હોય છે, તેને ખોટની પણ વધુ સંભાવના રહેતી
હોય છે. આ મોરચે ભારત સલામત સ્થિતિમાં છે જ્યારે કે, ટેરિફ વોરમાં
સર્વાધિક નુકસાન ચીન અને યુરોપને થઈ રહ્યું છે. જો કે, આ પરિસ્થિતિમાં
ભારતે સૌથી સજાગ રહેવાનું રહેશે, જેથી નિકાસની ઊભી થતી તકનો ભરપૂર
લાભ લઈ શકાય. એક બીજો મોટો પડકાર એ પણ છે કે, ચીનનાં ઉત્પાદનોનું
પ્રમાણ ભારતમાં વધી શકે છે. કારણ કે, ચીન ભરપાઈ માટે નવાં બજારની
શોધમાં છે. જો કે, ભારતે પોતાની શક્તિ વધારવા નિકાસ વધારા પર
ભાર આપવાની નીતિ અપનાવવી જોઇએ.