• રવિવાર, 13 એપ્રિલ, 2025

કોંગ્રેસનું નવું સૂત્ર જનતાનો નારો બનશે ?

`નૂતન ગુજરાત, નૂતન કોંગ્રેસ'નાં નવાં સૂત્ર સાથે સાબરમતીને તીરે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન થયું, જે કંઈ વક્તવ્યો થયાં, પત્રકાર પરિષદો થઈ, તેના ઉપરથી સગડ અને સંકેત એવા છે કે, કોંગ્રેસમાં નવસંચાર થવાની સંભાવના વધી છે. 64 વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસનાં અધિવેશનનું યજમાન ગુજરાત બન્યું. ફક્ત કોંગ્રેસના જ નહીં, પરંતુ દેશનાં ઘડતરમાં જેમનું અવિસ્મરણીય યોગદાન છે તે ગાંધીજી અને સરદાર સાહેબનું સ્મરણ કોંગ્રેસે આ અધિવેશનમાં નોંધપાત્ર રીતે કર્યું, તેના ઉપરથી કહી શકાય કે, પાકી તૈયારી અને રણનીતિ બંને આ વખતે ટોચનાં નેતૃત્વ પાસે હતાં. હવેનો સવાલ એ છે કે, કોંગ્રેસનું આ સૂત્ર જનતા માટેનો નારો બનશે કે નહીં ? એટલે કે, અધિવેશનની વાતો, નિર્ણયો, અભિપ્રાયો ગુજરાત અને દેશની જનતાનાં ગળે કોંગ્રેસ ઊતરાવી શકશે કે નહીં ? 30 વર્ષથી ગુજરાતમાં સત્તાવટો ભોગવતી કોંગ્રેસના પ્રથમ પંક્તિના નેતાઓ બે દિવસ ગુજરાતમાં રહ્યા. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મરણ માત્ર નથી કર્યું, પરંતુ કોંગ્રેસ અને દેશ માટે તેમનું કેટલું મહત્ત્વ છે તે પણ કહ્યું. આ ડહાપણ કોંગ્રેસને વહેલું આવવું જોઈતું હતું. સરદાર સાહેબની વૈશ્વિક સ્તરે સૌથી ઊંચી પ્રતિમા મુકાયા પછી, પાટીદાર સમાજ ભાજપમાં વધારે વિશ્વાસ ધરાવતો થયા પછી કોંગ્રેસને લાગ્યું કે, આ નેતા આપણા હતા અને તેને માન ભાજપ આપે છે. જો કે, તે ચર્ચા અત્યારે અસ્થાને છે. કોંગ્રેસનાં નેતૃત્વએ સરદાર સાહેબનો મહિમા કર્યો. પંડિત નેહરુ અને તેમના વચ્ચે મતભેદ નહોતો તેવું પણ કહ્યું. આ બધું પણ ઠીક છે, રાષ્ટ્રીય અધ્યક્ષે બીજા દિવસે કહ્યું કે, `જેમને કોંગ્રેસમાં કામ કરવું ન હોય તે લોકો નિવૃત્તિ લઈ લો.' આ મિજાજ નજીકના ભૂતકાળમાં કોઈએ બતાવ્યો નથી. થોડા દિવસો પૂર્વે ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે, `કેટલાક કોંગ્રેસીઓને અમે કાઢી મૂકશું.' ખડગેનું આ વિધાન પણ અત્યંત અગત્યનું છે, તો ગૌરવ ગોગોઈએ તો સીધો જ પક્ષનો એજન્ડા જાહેર કરી દીધો અને કહ્યું કે, અમારું લક્ષ્ય 2027ની વિધાનસભાની ચૂંટણી જીતવાનું છે. આ વાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિ જોતાં સ્વપ્નનવત્ લાગે, પરંતુ કોંગ્રેસે ગુજરાતમાં જીતનું સપનું તો જોયું, તે પણ તેના કાર્યકર્તાઓ માટે સંતોષની વાત છે. 2027ની શરૂઆતમાં પાંચ રાજ્યમાં ચૂંટણી છે, અંતમાં ગુજરાતમાં છે. આ અધિવેશનમાં તેની તૈયારીના સંકેત કોંગ્રેસ નેતૃત્વએ આપ્યા છે. અધિવેશનોના ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસે પ્રસ્તાવ પસાર કર્યો, જેમાં પેપર લીક, કર્મચારીનું શોષણ, વિવિધ દુર્ઘટનાઓ સહિતના સામાન્ય પ્રજાને સ્પર્શતા મુદ્દા આવરી લીધા છે. કોંગ્રેસ હવે ઉમેદવાર પસંદગીમાં જિલ્લા કક્ષાએ જઈને નિર્ણય લેશે, તેનું માળખું રચશે તેવો નિર્ણય પણ થયો છે. આ રણનીતિ કોંગ્રેસને ધરાતલ સુધી મદદ કરી શકે. કારણ કે, જિલ્લા-ગ્રામ્ય કક્ષાના કાર્યકર્તાઓનો લોકસંપર્ક વધારે સઘન હોય છે. રાહુલ ગાંધીએ ઓબીસી વર્ગનો ઉલ્લેખ પોતાનાં પ્રવચનમાં કર્યો. આલોક મિશ્રા અને સચિન પાયલટ જેવા નેતાઓએ પણ ભાજપના ગઢમાં જ ભાજપને હરાવશું તેવો પડકાર કર્યો, ટેરિફ જેવા સાંપ્રત મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા. જો કે, કોંગ્રેસનાં આ અધિવેશનમાં સ્થાનિક અન્ય સંસ્થાઓ, સહકાર ક્ષેત્રના લોકોની ઉપસ્થિતિ ઓછી હતી, તે પણ નોંધવું રહ્યું અને તેનું કારણ છે કે, ક્યાંય કોંગ્રેસનાં મૂળ બચ્યાં નથી. આ અધિવેશનનાં વક્તવ્યો, વિધાનોથી એવું ચોક્કસ લાગે કે, કોંગ્રેસમાં જાગૃતિનો સંચાર થયો છે. કોંગ્રેસ પુન: કૃતસંકલ્પ થઈ છે અને ગુજરાતમાં જ અધિવેશન બોલાવીને નેતાઓએ સંદેશો પણ આપ્યો છે કે, અમે વડાપ્રધાન અને ગૃહપ્રધાનના ગઢમાં પણ જઈને બોલી શકીએ છીએ. કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર પોતાની આ વાત ગુજરાત અને દેશના અન્ય કાર્યકર્તાઓ સુધી લઈ જવાનો છે. રામમંદિરનાં લોકાર્પણમાં ગેરહાજરી, વકફ બોર્ડ કે `સીએએ` જેવા મુદ્દે કોંગ્રેસનું વલણ, કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા સામે કોંગ્રેસનો વિરોધ એવા અનેક મુદ્દા છે, જે જનતાની વર્તમાન માનસિકતાથી વિપરીત છે. બૃહદ વર્ગ અત્યારે હિન્દુત્વ સહિતની વાતે જે વિચાર કરે છે, તે સ્થિતિમાં કોંગ્રેસ પોતાની વાત જનતાને કઇ રીતે ગળે ઉતારે છે એ જોવાનું રહ્યું. ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન બોલાવીને, પ્રસ્તાવ પસાર કરીને કોંગ્રેસે અન્ય વિપક્ષોને પણ પોતાની મજબૂતીનો પરચો આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ જ્યાં સુધી મતદાર, પ્રજા સ્વીકાર ન કરે ત્યાં સુધી કોઈ પણ પ્રસ્તાવ કે પ્રવચન સાર્થક ન થાય. રાજનીતિમાં કોંગ્રેસ પોતે જેને સત્ય માને તે વાત અલગ છે, પરંતુ તે સત્તા સુધી લઈ જશે ? તેના જવાબ માટે 2027 સુધી પ્રતીક્ષા કરવી પડશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd