લંડન, તા.12 : ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ મોર્ને
મોર્કલ ઇંગ્લેન્ડ પ્રવાસે પહોંચ્યા પછીથી જસપ્રિત બુમરાહની ફિટનેસ અને ફોર્મથી ઘણા
પ્રભાવિત છે. ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી ભારતીય ટીમના ત્રણ અભ્યાસ સત્ર યોજાયા છે. બુમરાહની
ફિટનેસ અને કામનાં ભારણને ધ્યાને રાખીને ઇંગ્લેન્ડ વિરુદ્ધની પાંચ ટેસ્ટની શ્રેણીમાં
તેને ત્રણ મેચમાં જ રમાડવા નિર્ણય બીસીસીઆઇ જાહેર કરી ચૂક્યું છે. મોર્કલે જણાવ્યું
કે, બુમરાહ ખુદને સારી રીતે તૈયાર કરી રહ્યો છે.
પાછલા ત્રણ દિવસમાં તેની ઊર્જા જોઇને હું ઘણો પ્રભાવિત છું. એ જોવું સુખદ છે કે,
બુમરાહ સંપૂર્ણ સજ્જ છે અને નેટમાં જોરદાર બોલિંગ કરી રહ્યો છે. તે હાલ
ઘણી સારી સ્થિતિમાં છે. ચોથા બોલર તરીકે ઇલેવનમાં નીતિશકુમાર રેડ્ડી અને શાર્દુલ ઠાકુરમાંથી
કોને મોકો મળશે તે વિશેના સવાલ પર બોલિંગ કોચ મોર્કલે જણાવ્યું કે, અમને રેડ્ડી પાસેથી ઘણી આશા છે. તેને અમે સંપૂર્ણ ઓલરાઉન્ડરમાં વિકસિત કરવા
માગીએ છીએ. તેની પાસે ક્ષમતા છે અને તે જાદુઇ
દડો ફેંકી શકે છે. અમે તેને વધુ ઓવર ફેંકવાનો ટાસ્ક આપી રહ્યા છીએ. નીતિશ રેડ્ડી જાણે
છે કે, આ કઠિન પ્રવાસ રહેવાનો છે. તે જવાબદારી લઇ રહ્યો છે. આથી
કોચ તરીકે અમે ખુશ છીએ, તેવું મોર્કેલે કહ્યું હતું.