• શનિવાર, 04 જુલાઈ, 2026

ઉદ્યોગ સાહસિકે પ્રથાઓથી ઉપર ઊઠીને વિચારવું જોઇએ

અર્પિત ગંગર દ્વારા : મુંબઇ, તા. 3 : કચ્છી ઉદ્યોગ સાહસિકોના વિકાસમાં વરસોથી મદદરૂપ બનતી સંસ્થા કચ્છ કોર્પોરેટ ફોરમ (કેસીએફ) દ્વારા તાજેતરમાં `કોર્પોરેટ કનેક્ટ' નામનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યત્વે ખુદનો બિઝનેસ (એન્ટરપ્રિન્યોરશિપ) અને કોર્પોરેટ ઓર્ગેનાઇઝેશન (ઇન્ટ્રરપ્રિન્યોરશિપ) વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે, એક ઉદ્યોગ સાહસિકે હાલની પ્રથાઓ અને ટ્રેન્ડથી આગળ વિચારવું જોઇએ. આ કાર્યક્રમને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો હતો-ફાયરસાઇડ ચેટ અને ત્યારબાદ બે પેનલ ચર્ચા.   કોર્પોરેટ સંગઠનોમાં ઉપપ્રમુખ કે તેથી વધુ હોદ્દા ધરાવતા 104 વ્યાવસાયિકોનું સન્માન કરાયું હતું. - ભૂલ સમજ્યા પછી જ ઉકેલ લાવી શકાય છે : આ કાર્યક્રમના મુખ્ય મહેમાન કાકુ (કકુ) કેનિયા નખાતે (ભૂતપૂર્વ સી.ઇ.ઓ. અને બેંક ઓફ  અમેરિકા-ભારતના વર્તમાન અધ્યક્ષા)એ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરતાં કહ્યું હતું કે, હું માનું છું કે, આપણે નફો કમાવવામાં સારા છીએ, પરંતુ આપણે હંમેશાં જરૂરી સ્તરે વિચારતા નથી. આ એક કારણ છે કે, ભારત ચીન અને યુએસએથી પાછળ છે. મારો મંત્ર હંમેશાં રહ્યો છે - `અનલર્ન (જે શીખ્યા તે ભૂલી જાવ), લર્ન (નવેસરથી શીખો) અને રિલર્ન (ફરી શીખો).' એક ઉદ્યોગ સાહસિકે હાલની પ્રથાઓથી આગળ વિચારવું જોઇએ અને અગાઉથી ચાલ્યા આવતા નિયમોનું ફક્ત જે હંમેશાં કરવામાં આવ્યું છે તેનું જ પાલન ન કરવું જોઇએ. ભૂલ સમજ્યા પછી જ ઉકેલ શોધી શકાય છે. `એક ટીમ, એક સ્વપ્ન'ની માનસિકતાને કંઇ હરાવી શકતું નથી. તેમણે માનસી ઠક્કર દ્વારા સંચાલિત ફાયરસાઇડ ચેટમાં ભાગ લીધો હતો. - જન્મભૂમિ પત્રોનું કમિટમેન્ટ : સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને જૈન યૂથ ફોરમ (જેવાયએફ)ના સ્થાપક હાર્દિકભાઇ મામણિયાએ જાહેરાત કરી હતી કે, `વ્યાપાર અખબાર ડિજિટલ થઇ રહ્યું છે અને ગુજરાતી અને હિન્દીમાં ઇ-વ્યાપાર ટૂંક સમયમાં દરરોજ ઉપલબ્ધ થશે. વ્યાપારના હાલમાં ચાર લાખથી વધુ સબક્રાઇબર્સ છે. અમે કેસીએફ સાથે સાપ્તાહિક પોડકાસ્ટ પણ શરૂ કરી રહ્યા છીએ, જે પર ઇન્ટ્રાપ્રિન્યોર્સ અને ઉદ્યોગ સાહસિકો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. જેવાયએફ, જન્મભૂમિ અને કેસીએફ 22 ઓગસ્ટના નેહરુ સેન્ટર-વરલી ખાતે અનિલ સિંઘવી સાથેના માહિતીપ્રદ કાર્યક્રમ માટે સહયોગ કરી રહ્યા છે. - કેસીએફ : મુકેશ દેઢિયા (કેસીએફ પ્રમુખ)એ કહ્યું હતું કે, `ઉદ્યોગ સાહસિકતા એ કાનૂની દરજ્જો નથી, તે એક વલણ છે. કેસીએફ હવે કિરીટ ગાલાના નેતૃત્વમાં `10ડ્ઢ' નામનો એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ લઇને આવી રહ્યું છે. કેસીએફના કાર્યક્રમ સમિતિના અધ્યક્ષ અશોક શાહે જણાવ્યું હતું કે, `કેસીએફ હંમેશાં એવા વિષયો સાથે આવે છે જે વિકાસમાં ફાળો આપે છે.' સંચાલન કરનારા ભાવેશ શાહે જણાવ્યું હતું કે, `ત્રણથી ચાર દાયકા પહેલાં કચ્છી સમુદાયમાં શિક્ષણને બહુ મહત્ત્વ આપવામાં આવતું ન હતું. જો કે, સમય બદલાઇ ગયો છે.' - ઇન્ટ્રપ્રિન્યોર અને ઉદ્યોગ સાહસિકતા અંગે બે પેનલ ચર્ચા : પ્રથમ પેનલ ચર્ચા `કોર્પોરેટ્સમાં ઇન્ટ્રાપ્રેન્યોર કેવી રીતે બનવું' વિષય પર કેન્દ્રિત હતી. પેનલમાં ડો. શિલ્પા વોરા, ચિરાગ ગાલા, ઊર્વિશ રાંભિયા અને ધવલ ગાલાનો સમાવેશ થતો હતો. સત્રનું સંચાલન અમિષ દેઢિયા દ્વારા કરવામાં આવ્યું હતું. બીજી પેનલ ચર્ચાનું શીર્ષક `કોર્પોરેટ (રોજગાર)થી ઉદ્યોગ સાહસિકતા સુધી' હતું. આ સત્રમાં ત્રણ ઉદ્યોગ સાહસિક સામેલ હતા જેમણે પોતાનો વ્યવસાય શરૂ કરતાં પહેલાં કોર્પોરેટ સંસ્થાઓમાં કારકિર્દી શરૂ કરી હતી. પેનલિસ્ટ હતા : આશિષ ગાલા, પુનિત ઠક્કર અને કુણાલ સાવલા - ચર્ચાનું સંચાલન જિજ્ઞેશ કેનિયા દ્વારા કરવામાં આવ્યું હતું.  

Panchang

dd