• શનિવાર, 04 જુલાઈ, 2026

માનકૂવા બાદ હવે તેલચોરી કૌભાંડ મામલે પ્રાગપર પોલીસ પર તવાઈ

ભુજ, તા. 3 : પશ્ચિમ કચ્છમાં એક જ દિવસમાં ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માનકૂવા અને પ્રાગપર પોલીસ મથકની હદમાં દરોડા પાડી સપાટો બોલાવ્યો હતો, જે પછી માનકૂવા પીઆઈ, એએસઆઈ અને ડી સ્ટાફના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરાયા હતા. તે પછી શુક્રવારે પ્રાગપર પોલીસ પર પણ તવાઈ આવી હતી અને એલસીબી તથા એસએમસીની રેઈડ બાદ ત્રણ કર્મચારીને ફરજમોકૂફ કરાયા છે. તે ઉપરાંત પોલીસ અધીક્ષકે કડક પગલાં લેતાં માનકૂવા પોલીસ મથકમાં ફરજ બજાવતા વધુ પાંચ કર્મચારીની સરહદી વિસ્તારના પોલીસ મથકોમાં બદલી કરી હતી. પ્રાગપર પોલીસની હદમાં એલસીબી અને એસએમસીના દરોડા બાદ પોલીસવડા વિકાસ સુંડાએ કરેલી કાર્યવાહીમાં પ્રાગપર પોસ્ટ. બીટના ઈન્ચાર્જ એએસઆઈ પુનશીભાઈ લાખુભાઈ અને પત્રી ઓપી ઈન્ચાર્જ શિવમભાઈ હરિરામભાઈ અને ડી સ્ટાફના ઈન્ચાર્જ ભરતકુમાર મંછાજીને સસ્પેન્ડ કર્યા હતા. બીજી તરફ સેડાતા-ભારાપર વિસ્તારમાં એસએમસીએ પાડેલા દરોડાના પગલે માનકૂવા પોલીસ મથકમાં ફરજ બજાવતા અ.હે.કો. બાબુભાઈ પદ્માજીને નારાયણ સરોવર, જયપાલસિંહ જયદેવસિંહને નરા, અશોકભાઈ મનુભાઈને હાજીપીર, વિનોદકુમાર મનુભાઈને જખૌ અને એએસઆઈ પંકજકુમાર રામસિંહને નરા પોલીસ મથકમાં બદલવામાં આવ્યા છે. નોંધનીય છે કે, માનકૂવા પોલીસ મથકની હદમાં આવતા સેડાતા-ભારાપર વિસ્તારમાં એસએમસીના સપાટા બાદ આઈજી ચિરાગ કોરડિયાએ માનકૂવા પીઆઈ કુલદીપ એમ. ગઢવીને, જ્યારે એસપી શ્રી સુંડાએ બનાવવાળા સ્થળના કેરા આઉટપોસ્ટના ઈન્ચાર્જ એએસઆઈ જયંતીભાઈ મહેશ્વરી અને સર્વેલન્સ સ્કવોડ (ડી-સ્ટાફ)ના ઈન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાણાને ફરજમોકૂફ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ માસમાં રાજ્ય સ્તરેથી કચ્છમાં ઉપરાછાપરી દરોડા પડાયા છે, જે પછી પીઆઈ સહિતના અન્ય કર્મચારીઓને સસ્પેન્ડ કરવા જેવાં કડક પગલાંઓથી સંતોષ માનવામાં આવતો હોય છે. રાજ્ય સ્તરેથી કાર્યવાહી થાય ત્યાર પછી જ શા માટે ફરજમોકૂફી કરાય છે, પરંતુ જે-તે વિસ્તારમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પહેલાંથી જ શા કાર્યવાહી કરાતી નથી તેવો પણ આ ક્ષેત્રના નિષ્ણાતોએ સવાલ કર્યો હતો. 

Panchang

dd