નલિયા, તા. 14 : અબડાસા તાલુકાના મોટી સિંધોડી
ગામને પિંગલેશ્વર મહાદેવ મંદિર સાથે જોડતો ત્રણ કિલોમીટરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી
અતિ બિસમાર હાલતમાં છે. સિંધોડી ચોકડીથી શરૂ થતા આ માર્ગ પર ડામર સંપૂર્ણપણે ઉખડી ગયો
છે અને ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે. આ માર્ગની ખરાબ હાલત એટલી છે કે, બાઈક અને ફોર-વ્હીલર જેવા વાહનો ચલાવવા પણ અત્યંત
મુશ્કેલ બન્યા છે. પાંચ મિનિટના રસ્તાને કાપવામાં અડધો કલાક જેટલો સમય લાગી રહ્યો છે,
જેના કારણે વાહનચાલકો અને ખાસ કરીને પિંગલેશ્વર મહાદેવ મંદિર જતા યાત્રાળુઓને
ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિંધોડી ગામના જાગૃત નાગરિક લક્ષ્મણ ગઢવીએ
જણાવ્યું હતું કે, રોડની આ દયનીય સ્થિતિને કારણે નાના અકસ્માતો
સામાન્ય બની ગયા છે. તેમણે ચોમાસાં પહેલાં રિપેરિંગ કામ કરવાની માંગ કરી હતી,
પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાયું નથી. હાલની પરિસ્થિતિ જોતાં,
આ માર્ગનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ અને પેવર કામ કરવામાં આવે તેવી
સ્થાનિકો અને યાત્રાળુઓ દ્વારા પ્રબળ લોકમાંગ ઊઠી છે, જેથી સામાન્ય
પ્રજાને અને શ્રદ્ધાળુઓને મુશ્કેલીમાંથી મુક્તિ મળી શકે.