નવી દિલ્હી, તા. 14 : દોઢ દાયકા
સુધી પશ્ચિમ બંગાળ પર એકચક્રી શાસન કરનાર મમતા બેનરજીનો માળો આખરે વીંખાઇ ગયો છે. તૃણમૂલ
કોંગ્રેસના 20 વિદ્રોહી લોકસભા સાંસદે પક્ષથી
છેડો ફાડી નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (એનસીપીઆઇ)માં વિલયનું એલાન કર્યું હતું. ઘોષણા બાદ બળવાખોર જૂથના
નેતા કાકોલી ઘોષ દસ્તધરે રવિવારે કહ્યું હતું કે,
આ જૂથ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએને સમર્થન આપશે.
કાકોલી સહિત તૃણમૂલના વિદ્રોહી સાંસદોએ આજે
દિલ્હીમાં બંગાળ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને તેમના નિવાસસ્થાને મળીને બેઠક કરી હતી.
ત્યારબાદ તમામ સાંસદ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા. પછી એનસીપીઆઇમાં વિલયની ઘોષણા
કરી હતી. વિદ્રોહી જૂથના નેતા કાકોલીએ દાવો
કર્યો હતો કે, તેમની સાથે આવેલા સાંસદો તૃણમૂલ કોંગ્રેસની લોકસભામાં
કુલ તાકાતના બે તૃતિયાંશ કરતાં વધારે છે. આ હકીકત નજર સામે રાખતાં વિલય બંધારણીય રીતે
માન્ય છે. બીજી તરફ બળવાખોર સાંસદ સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે, અસલી તૃણમૂલ કોંગ્રેસ કઇ, તેનો ફેંસલો અદાલત કરશે. કાકોલીએ
કહ્યું હતું કે, અમે વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળા દેશમાં સત્તારૂઢ
એનડીએ જોડાણ સાથે મળીને દેશહિત માટે કામ કરીશું. વિદ્રોહી સાંસદો જેની સાથે જોડાયા
છે, તે પક્ષનું આખું નામ નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા
(એનસીપીઆઇ) છે. આ ત્રિપુરાનો એક નાનકડો પક્ષ છે. ખાસ જાણવા જેવી વાત તો એ છે કે,
આ પક્ષ ચૂંટણીપંચમાં નોંધાયેલો છે, પરંતુ માન્યતા
પ્રાપ્ત નથી. વિદ્રોહી જૂથ તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી ચિહ્ન `જોડિયા ફુલ' પર પણ દાવો કરશે, તેવું
કાકોલી ઘોષે જણાવ્યું હતું. હવે લોકસભામાં મમતા પાસે માત્ર આઠ સાંસદ બચ્યા છે,
તો રાજ્યસભામાં ચાર સાંસદનાં રાજીનામા બાદ નવ જ સાંસદ બચ્યા છે.