વિથોણ, તા. 25 : કચ્છમાં થતું પવનચક્કીઓનું
આગમન ખેતી અને પર્યાવરણ માટે જોખમી સાબિત થઇ રહ્યું છે. પવનચક્કીના પદાર્પણમાં મોટું
નુકસાન વનસંપદાને થયું છે. ઉપકરણો લઇ જવા જંગલમાં રસ્તા બનાવવા આડેધડ કિંમતી વૃક્ષોનું
છેદન કરવામાં આવ્યું છે. ખેડૂતોની વાડીમાંથી વાયર ખેંચવા માટે ખેતી પાકને મોટું નુકસાન
કર્યું છે અને વળતર માટે નજીવી રકમ આપીને કંપનીવાળા પોતાનું કામ કરી જાય છે. પંથકના
સીમાડાઓમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં પવનચક્કીના વાયરો જોવા મળે છે. હજુ સેંકડો પવનચક્કીઓના
ઉપકરણો ઠલવાય છે. તોતિંગ વજન ધરાવતા ઉપકરણોના આવાગમનને કારણે પંથકના માર્ગોને મોટું
નુકસાન થયું છે. 20 ટનની ક્ષમતાવાળા
માર્ગો ઉપર 50થી 70 ટન વજન ધરાવતાં વાહનો નીકળે છે. જેથી રસ્તાની હાલત અતિ બિસમાર
બની રહી છે તેવું ખેડૂત શાંતિભાઇ નાયાણીએ જણાવ્યું છે.