સુમરાપોર, તા. 25 : ભુજ તાલુકાના સરહદી પચ્છમ વિસ્તારના
માલધારી મુલકના ઉત્તરાદા ગામડાંઓમાં ઝીણા પશુધન ઘેટાં-બકરાંમાં ખરવા -મોવાની બીમારીએ
માથું ઊંચકતાં માલધારીઓ ચિંતિત બન્યા છે. કુરન - સુમરાપોરના માલધારીઓ કાળા ડુંગરની
ઉત્તર તળેટીએ પડાવ નાખીને બેઠા છે જેમાં ઝીણા પશુઓ ઘેટાં-બકરાંમાં આ ખરવા-મોવાની બીમારીએ
આવા પશુઓને મરણને શરણ બનાવી પથારીવશ બનાવી દીધા છે. સુમરાપોર ગામના કુરનના સીમાડામાં પડાવો નાખીને બેઠેલા સુમરા ઈદ્રીસ સાધકના 6થી 7 ઘેટાંનાં મરણ થયાં છે. અન્ય માલધારીઓ કાળા ડુંગરના વનવગડામાં
હોવાથી ત્યાં પણ આ બીમારીના અહેવાલ મળી રહ્યા છે. હાલ ખાલી ઝીણાં પશુઓને આ બીમારી લપેટમાં
લીધી છે. જો સમયસર ખરવા-મોવાના રોગને નાથવામાં નહીં આવે તો મોટા પશુધન ગાય -ભેંસને
ઝપેટમાં લેશે તો પશુપાલકોને મોટું નુકસાન થવાની સંભાવનાની સાથે ચિંતા વ્યક્ત કરવામાં
આવી હતી. ખરવા-મોવાની બીમારીમાં ઝીણાં પશુઓના મોઢામાં પાણીની લાળ ટપકે છે. પશુઓ ખાવા-પીવાનું
બંધ કરી નાખે છે અને થોડાક દિવસોમાં મરણને શરણ થાય છે. હાલે ચરિયાણની કોઈ કમી નથી.
ઘાસ-પાણીના ભંડારો છે પણ સારા વખતમાં આ બીમારીએ માથું ઊંચકતાં આ વર્ગ મુશ્કેલીમાં મુકાયો
છે. પશુપાલન તંત્ર બીમાર પશુઓની સારવાર કરી અન્ય વિસ્તારમાં આ રોગચાળો ન ફેલાય તે માટે
આવશ્યક પગલાં ભરે તેવી માંગ થઈ રહી છે.