ગાંધીધામ, તા. 19 : જૈન સમાજના પૂજનીય આચાર્ય મહાશ્રમણજી પોતાની ધવલસેના સાથે અષ્ટમંગલ કોલોનીથી
વિહાર કરીને રિવેરા એલિગન્સ ખાતે પધાર્યા હતા. મહાવીર આધ્યાત્મિક સમવસરણમાં ભાવિકોને
સંબોધતાં ગુરુદેવે જણાવ્યું હતું કે, વ્યક્તિએ જીવન જીવવાનો હેતુ શું છે તે વિચારવું જોઇએ. આપણે જે જીવન જીવીએ છીએ
તેનો ઉપયોગ પૂર્વ જીવનમાં કર્મો ખપાવીને મોક્ષની સાધના કરવાનો હોવો જોઇએ. આપણું ગંતવ્ય
(લક્ષ્ય) નક્કી હોવું જોઇએ. મોક્ષ અમારું ગંતવ્ય હોવું જોઇએ. આચાર્ય ઉમાસ્વામીના બતાવ્યા
પ્રમાણે સમ્યક્ જ્ઞાન, સમ્યક દર્શન મોક્ષનો માર્ગ છે. મનુષ્યજીવન
દુર્લભ છે. લાખો- કરોડો જન્મોમાં પણ કયારેક મનુષ્ય જન્મ પામવો અઘરો હોય છે. 84 લાખ જીવયોનિની યાત્રા કાપીને
આપણને દર્લભ મનુષ્યજન્મ પ્રાપ્ત થયો છે. આત્મા અમર છે, તેનો ક્યારેય નાશ થતો નથી. વધુમાં તેમણે ઉમેર્યું
હતું કે, મનુષ્યજન્મ પામીને મળેલા અમૂલ્ય અવસરને સંયમ,
નિર્જરાને સમજીને તેનું પાલન કરીને સફળ બનાવો. દિવસનો થોડો ઉપયોગ સાધનમાં
લગાવો. મોક્ષ માર્ગની તરફ આગળ વધવા યથાર્થ જ્ઞાનની જરૂર હોય છે. જીવનમાં ઇમાનદારી,
આહિંસા વગેરે ઉતારીને જીવન સફળ બનાવવાની શીખ આપી હતી.આજના કાર્યક્રમમાં
ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા નીમાબેન આચાર્ય, જૈન સમાજના
અગ્રણી હિતેષભાઈ ખંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા. સાધ્વી પ્રમુખ વિશ્રુતવિભાજીએ જણાવ્યું કે, શાત્રોમાં ચિંતામણિરત્ન,
કામધેનુ અને કલ્પવૃક્ષને દુર્લભ બતાવ્યા છે, પરંતુ
ગુરુદેવે મનુષ્યજન્મને દુર્લભ બતાવ્યો છે. મનુષ્યજન્મમાં પણ ગુરુ મળવા મુશ્કેલ હોય
છે. જો સારા ગુરુ મળે તો તેમની મારફતે પરમ તત્ત્વ પ્રાપ્ત થઇ શકે છે. આત્મા પર લાગેલા
કર્મ તત્ત્વને દૂર કરવાનો માર્ગ માત્ર સદ્ગુરુ જ બતાવી શકે છે. રિવેરા ખાતેના કાર્યક્રમમાં
પ્રવાસી મૂળ જસોલના મહાવીરચંદજી સાલેચા,
રેખા ચોપડા, કંચન સંકલેચા, નિશિ-તેજસ્વી સંકલેચા તથા રિવેરા પરિવારના મુકેશભાઈ આચાર્ય, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા નીમાબેન આચાર્ય વગેરેએ પોતના મંતવ્યો રજૂ
કર્યા હતા. રિવેરા ગ્રુપની બહેનોએ સ્વાગત ગીત
રજૂ કર્યું હતું. સન્માનવિધિમાં જૈન શ્વેતાંબર તેરાપંથ સભા-ગાંધીધામના અધ્યક્ષ અશોક
સિંઘવી, ઉપાધ્યક્ષ બજરંગ બોથરા, મંત્રી
રાજુભાઈ મહેતા, સહમંત્રી જિતેન્દ્ર સેઠિયા, કોષાધ્યક્ષ નરેશ સંઘવી, બાબુલાલ સિંઘવી, પ્રદીપભાઈ ભંસાલી, નરેન્દ્ર સંઘવી, રાકેશ સેઠિયા, રસીક સંઘવી વગેરેએ મહેમાનોને આવકાર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા તેરાપંથ
યુવક પરિષદ - ગાંધીધામના મુકેશ સિંઘવી, રોહિત ઢેલડિયા તથા મહિલા
મંડળના અધ્યક્ષ મંજુબેન સંઘવી, મંત્રી ડિમ્પલ ખાટેડ તથા તેમની
ટીમે સહયોગ આપ્યો હતો. સંચાલન મુનિ દિનેશકુમારજી
કર્યું હતું.