ગઢશીશા, તા. 4 : માંડવીના રત્નાપર ગામે પ્રદૂષણ
નિયંત્રણ લાવવા તથા સ્વચ્છતા અભિયાનમાં જોડાઇ પ્લાસ્ટિક થેલીનો નહિવત્ ઉપયોગ માટે તેમજ
વિનામૂલ્યે કાપડની થેલી વિતરણ કરાઇ હતી. આ અનોખી પહેલ દ્વારા ગ્રામ પંચાયત પરિવાર દ્વારા
ઘરે ઘરે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની અપીલ કરાઇ હતી. ગામના સરપંચ મગનલાલ જીવરાજ ભીમાણીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તમામ ગ્રામજનો તથા નાના-મોટા સર્વે વ્યાપારી
પ્રતિષ્ઠાનો, વેપારીઓ સહયોગ આપ્યો હતો. દરેક દુકાનોમાં પ્રતીકરૂપે
કાપડની થેલી ભેટ અપાઇ હતી. આ પ્રવૃત્તિમાં ગ્રામ પંચાયતની ટીમ મગનભાઇ ભીમાણી,
મોહનભાઇ વાસાણી, પરસોતમભાઇ ચોપડા, ભાસ્કરભાઇ નાકરાણી, ચંદ્રિકાબેન ભીમાણી, કમળાબેન રામજિયાણી, રોશનીબેન ગોહીલ, રમીલાબેન નાકરાણી સહયોગી રહ્યા હતા. આગામી તા. 15 સુધીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ
નહિવત્ થઇ જશે,
તેવી ખાતરી અપાઇ હોવાનું યાદીમાં જણાવાયું હતું. ઉપરાંત પાટીદાર
સમાજના પ્રમુખ અમૃતલાલ ચોપડા, મહેન્દ્રભાઇ રામાણી, પચાણભાઇ ચોપડા વિ. આ સ્વચ્છતા અભિયાનમાં
જોડાઇ સહકાર આપવા અપીલ કરી હતી.