મુંદરા, તા. 25 : પ્રયાગરાજમાં ભક્તોનું ઘોડાપૂર
ઊમટી રહ્યું છે, તેવામાં સેક્ટર 19 સ્થિત ઇસ્કોન પંડાલમાં આયોજિત
ભવ્ય કાર્યક્રમમાં એક અલગ જ દૃશ્ય જોવા મળ્યું હતું. પ્રીતિ અદાણી તેમના પુત્રવધૂ અને
નાની પૌત્રી સાથે ઇસ્કોનના વિશાળ રસોડામાં જમીન પર બેઠા જોવા મળ્યા હતા, તેઓ ભંડારા માટે હાથથી વટાણા છોલી રહ્યા હતા.
દુનિયાના ધનાઢ્ય પરિવારની આ સાસુ-વહુની સાદગી અને સેવાનાં દૃશ્યોએ લોકોને મંત્રમુગ્ધ
કર્યા હતા. ઇસ્કોનના રસોડામાં સેવા આપતી મહિલાઓનું એક જૂથ શાકભાજી છોલી રહી હતી,
તો કેટલીક હળવા હાસ્ય અને મજાક વચ્ચે સેવામાં વ્યસ્ત હતી. આ દરમિયાન,
ડો. પ્રીતિ અદાણી અને તેમની પુત્રવધૂ પરિધી અદાણીએ તેમની વચ્ચે પહોંચીને
સ્મિત સાથે તેમની સેવા કરવાનું શરૂ કર્યું હતું. વટાણા છોલવાની સેવા કરતા હતા,
ત્યારે તેમના ચહેરા પર સ્મિત છલકાતું હતું. તેમની સાથે તેમની પુત્રવધૂ
પરિધી અદાણી સમર્પિત ભાવે વટાણા છોલવામાં વ્યસ્ત હતા. આ બધા વચ્ચે તેમની પૌત્રી પણ
તેના ખોળામાં બેસીને વટાણા છોલવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. ડો. પ્રીતિ અદાણી, તેમની પુત્રવધૂ
રોટલી બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યાં પહોંચી જમીન પર
બેસી ગયા અને અહીં પણ રોટલી પર ઘી લગાવવાનું કામ કર્યું હતું. શ્રદ્ધા, સરળતા સેવાભાવના આ સુંદર ત્રિવેણી સંગમથી કુંભનગરીમાં તેમની અલગ ઓળખ છવાઈ ગઈ
હતી. નોંધનીય છે કે, 21 જાન્યુઆરીએ
ગૌતમ અદાણીએ પરિવાર સાથે મહાકુંભ સ્થળ પ્રયાગરાજની યાત્રા કરી હતી. આ પ્રસંગે તેમણે
ઇસ્કોનમાં પ્રસાદ સેવા કરી, પવિત્ર સંગમમાં
આસ્થાની ડૂબકી લગાવી હતી. તેમણે બડે હનુમાનજીનાં દર્શન અને પૂજા-આરતી પણ કર્યા હતા.
અદાણી ગ્રુપે ઇસ્કોન સાથે મળીને દરરોજ એક લાખ લોકોને મહાપ્રસાદનું વિતરણ કરવાનો અને
ગીતા પ્રેસના સહયોગથી 1 કરોડ આરતી
સંગ્રહનું વિતરણ કરવાનો સંકલ્પ લીધો છે.