અંજાર, તા. 24 : 26મી જાન્યુઆરી 2001માં આવેલ વિનાશક ભૂકંપમાં અંજાર
મધ્યે શહીદ થયેલા 185 વિદ્યાર્થી, 21 શિક્ષક, બે પોલીસકર્મી તેમજ એક ક્લાર્ક અંજાર દાતાર
ચોક મધ્યે હંમેશાં ભારતમાતાની ગોદમાં સમાઈ ગયા હતા. તેમની યાદમાં વાલી મંડળ દ્વારા
આગામી તા. 26મીએ શ્રદ્ધાંજલિ
કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ વસમી વિદાયને છેલ્લા 24 વર્ષ વીતવા છતાં પોતાના વહાલસોયાની
યાદ હંમેશાં આંખોમાં કંડારાયેલી રહી છે, ત્યારે વાલી મંડળ દ્વારા જૂના દાતાર ચોક મધ્યે 26મી જાન્યુઆરીને દિવસે સવારે 8.30 વાગ્યે શ્રદ્ધાંજલિ સાથે ધ્વજવંદન
કાર્યક્રમ યોજવામાં આવશે. નાના બાળકોને તિરંગા સાથે નાસ્તો અર્પણ કરવામાં આવશે. આ દુ:ખદ
વેળાએ અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી
મહારાજ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. વાલી મંડળ વતીથી અશોક સોની, હરિલાલ કાપડી, જિતેશ કાતરિયા,
મીત મહેતા, હરિ ભગત, હરિલાલ
બલદાણિયા, મહેશ હડિયા, આશાબેન મહેતા,
હિનાબેન સોમેશ્વર, મીતાબેન પલણ વગેરે વાલી મંડળના
સદસ્યો શ્રદ્ધાંજલિ અર્પણ કરશે તેવું વાલી મંડળ વતી જિતેન્દ્ર ચોટારાએ જણાવ્યું હતું.