અંજાર, તા. 24 : 2001માં આવેલા વિનાશક ભૂકંપે સમગ્ર
કચ્છ સહિત ઐતિહાસિક અંજારમાં મોટાપાયે તારાજી સર્જી હતી. ભૂકંપમાં અવસાન પામનારા પ્રાથમિક
શાળાના નાનાં ભૂલકાંઓ, શિક્ષકોની
યાદમાં બનાવાયેલા મેમોરિયલ ખાતે અંજાર એરિયા
ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા હોલ બનાવવામાં આવશે. આ મામલે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં
આવી હતી. ખત્રી બજારમાં શાળાના 185 વિદ્યાર્થી, 21 શિક્ષક, 2 પોલીસકર્મી
તેમજ 1 ક્લાર્કનું મોત નીપજ્યું હતું, અંજારના જૂના ગામતળ, 9 મીટર રોડ પાસે આવેલા મેમોરિયલ પાર્ક (વિરાંજલિ
પાર્ક) મધ્યે દર વર્ષે 26મી જાન્યુઆરીના
ભૂકંપમાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદમાં અંજાર વાલી મંડળ દ્વારા આ સ્થળે શ્રદ્ધાંજલિ
સભા યોજવામાં આવે છે. વાલી મંડળના સભ્ય અશોકભાઇ સોની દ્વારા આ સ્થળે એક પ્રાર્થના હોલનું
નિર્માણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી, આ રજૂઆત બદલ અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા આ રજૂઆતને માન્ય રાખવામાં
આવી હતી. રૂા. 50 લાખની રકમની
મંજૂરી આપવામાં આવી હતી. અંજાર સિવિલ એન્જિ. અને આર્કિટેક્ટ એસો.ના પ્રમુખ વિવેક આર.
પંડ્યાને પત્ર પાઠવાયો છે. અંજારના ટી.પી.-2 મધ્યે આવેલા મેમોરિયલ પાર્ક (પ્લોટ. નં 975), મધ્યે રિઝર્વેશનવાળી જગ્યામાં
રૂા. 50 લાખની મર્યાદામાં પત્રમાં દર્શાવ્યા
મુજબની શરતો / માપદંડને આધારે સૂચિત આયોજન મગાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે
કે, આ મેમોરિયલ પાર્ક મધ્યે પ્રાર્થના હોલનું નિર્માણ
કરવામાં આવે તે માટે અંજાર શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઇ શાહે ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા
સમક્ષ રજૂઆત કરી હતી. ધારાસભ્યે આ રજૂઆતને જિલ્લા કલેક્ટર તથા આડાના ચેરમેન અમિત અરોરાની સમક્ષ મૂકી હતી, શ્રી
અરોરાની સૂચના અનુસાર અંજારના તત્કાલીન પ્રાંત અધિકારી સુનીલ સોલંકી, અંજાર વિકાસ સત્તા મંડળના સેક્રેટરી તથા નવનિયુક્ત પ્રાંત અધિકારી એસ.કે. ચૌધરી,
અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળના
જુનિયર ટાઉન પ્લાનર નીરવ પટેલ દ્વારા આ બાબતે હકારાત્મક અભિગમ દાખવી અંજાર વાલી મંડળની
વર્ષો જૂની માંગને સંતોષવા પ્રક્રિયા હાથ ધરી હતી.