ગાંધીધામ, તા.
6 : સુરતમાં આજે વર્ષ 2017માં બનેલી એક ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. જેના મલબામાં નવ લોકો
દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે, ત્યારે ગાંધીધામ, આદિપુરમાં પણ અનેક જર્જરિત
ઇમારતો હજુય મોતનો માંચડો બનીને ઝૂલે છે, પરંતુ નગરપાલિકા, જીડીએ સહિતનાં વહીવટી તંત્ર
દ્વારા એકબીજા પર દોષનો ટોપલો ઢોળી લોકોના જીવ સાથે ખિલવાડ કરાઇ રહ્યો છે. પરિણામે
ગંભીર દુર્ઘટના સર્જાવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ગાંધીધામમાં ગાંધી માર્કેટ,
નગરપાલિકા પાછળ ચેતના ચેમ્બર, સેક્ટર-1/એ વિસ્તાર, આદિપુરમાં ઘનશ્યામ એપાર્ટમેન્ટ,
નીરવ એપાર્ટમેન્ટ, સુધરાઇ હસ્તકની શાકમાર્કેટ સહિતની જર્જરિત ઇમારતો મોતનો માંચડો બનીને
ઊભી છે. જેમાંથી અનેક વખત કાટમાળ પડવાના બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. અગાઉ ઘનશ્યામ
એપાર્ટમેન્ટનું છજું પટકાતાં કુમળી વયની બાળકીને મોત આંબી ગયું હતું તેમજ મહિલાને ગંભીર
ઈજાઓ થઈ હતી. અમુક ઇમારત હાડાપિંજર સમાન બની ગઇ છે. સુધરાઇ તંત્ર દ્વારા દેખાડા પૂરતી
નોટિસ આપીને સંતોષ માની લેવાયો હતો. ત્યારબાદ હજુ સુધી આ બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં
આવી ન હતી. આવી જ રીતે શહેરની અન્ય જર્જરિત બિલ્ડિંગ સંદર્ભે પણ નોટિસ આપીને હાથ ખંખેરી
લેવાયા હતા. હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી સંભવ થઈ શકી નથી. જોડિયા નગરમાં આવેલી આ
જર્જરિત ઇમારતોમાં અવર નવાર પોપડાં પડવાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે, તેમ છતાં તેમાં
લોકો વસવાટ કરે છે. ઉપરાંત મોટાભાગની બિલ્ડિંગમાં ખાનગી કચેરીઓ, દુકાનો કાર્યરત છે.
આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર? તેવો સણસણતો સવાલ લોકો દ્વારા વ્યક્ત
કરાઈ રહ્યો છે. સુરતમાં માત્ર આઠેક વર્ષ અગાઉ બનેલી ઇમારત જમીનદોસ્ત થઈ જતી હોય, તો
ગાંધીધામ-આદિપુરમાં ભૂકંપ પહેલાંની આ ઇમારતો જર્જરિત હાલત ભોગવી રહી છે. વધુ પડતા વરસાદ
બાદ પોલાણ થવાથી પણ ઇમારત પડી જવાની ભીતિ સેવાઈ રહી છે. અંજાર પ્રાંત અધિકારીના હુકમથી
નગરપાલિકા દ્વારા જર્જરિત ઈમારતોને તોડવા માટે નોટિસ આપવામાં આવે છે. ત્યારબાદ બિલ્ડિંગ
તોડવાની કામગીરીમાં ગતિ આવતી જ નથી. ગાંધીધામ-આદિપુરમાં સતત ધમધમતા રોડ તેમજ રહેણાક
વિસ્તારોમાં આ જર્જરિત બિલ્ડિંગ ઊભી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ઘટે, તો મોટી હોનારત
સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે માસૂમ બાળકીનાં મોતના બનાવ પરથી બોધપાઠ
લઈને સંકુલમાં અતિ બિસમાર હાલતમાં મુકાયેલી આ બિલ્ડિંગ સત્વરે તોડી પાડવામાં આવે, તેવી
માંગ લોકોમાંથી ઊઠી રહી છે.