સુરત, તા.
4 : સુરત ખાતે ચાતુર્માસ કરી રહેલા આચાર્ય મહાશ્રમણ દ્વારા આગામી મર્યાદા મહોત્સવ ભુજ
ખાતે કરવાની જાહેરાત કરાતાં ભુજ સાત સંઘના અધ્યક્ષે એમનો આભાર વ્યકત કરવા સુરત ખાતે
તેમની મુલાકાત કરી હતી. પ્રવચન પંડાલમાં ગુરુદેવના સાંનિધ્યમાં સાત સંઘના અધ્યક્ષ સ્મિતભાઈ
ઝવેરી - ભાજપાના આગેવાન અને વીબીસી સમાજના હિતેશભાઈ ખંડોર અને પ્રવાસ વ્યવસ્થા સમિતિના
અધ્યક્ષ કીર્તિભાઈ સંઘવીએ આચાર્યની મુલાકાત કરી હતી. સ્મિતભાઈ ઝવેરીએ ભુજમાં પૂરા જૈન
સમાજની એકતાની સરાહના સાથે જણાવ્યું કે ભુજના જૈન સંઘોના ઇતિહાસમાં આવા ઐતિહાસિક પ્રસંગનું
નિર્માણ થયું છે કે સાતે સંઘના અધ્યક્ષ-મંત્રી પોતાની ભાવના વ્યક્ત કરવા આચાર્યને મળ્યા
અને આવનારા મર્યાદા મહોત્સવ ભુજમાં સમગ્ર જૈન સમાજ સહયોગ સાથે ગુરુજીનો લાભ લેશે, જેનો
આનંદ વ્યકત કર્યો હતો. આચાર્યએ સંઘોના સર્વે જૈન અગ્રણીને જૈન એકતા માટે આશીર્વાદ પાઠવ્યા
હતા. સુરત મુકામે ચંદુલાલ સંઘવી સાથે તેમની પૂરી ટીમે પધારેલ મહેમાનોની કરેલ સુંદર
વ્યવસ્થાની સર્વે જૈન મહાનુભાવોએ સરાહના કરી ગુરુદર્શન માટે ખુશી વ્યક્ત કરીને મર્યાદા
મહોત્સવ સમિતિ ભુજ અને તેરાપંથ સંઘ ભુજનો સર્વે મહાનુભાવોએ આભાર માન્યો હતો, એવું મહેશ
મહેતાની યાદીમાં જણાવાયું છે.