ભુજ, તા. 23 : ભુજ મિલિટરી સ્ટેશન ખાતે બાલ્ડ ઇગલ બ્રિગેડ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન 1965 અને 1971માં પાકિસ્તાન સામેનાં યુદ્ધમાં ભાગ લેનારા યુદ્ધના નિવૃત્ત સૈનિકો અને સ્થાનિક નાયકોની હાજરીમાં એનસીસીના ડી.જી. લેફટનન્ટ જનરલ ગુરબીરપાલસિંઘે નવીનીકરણ કરવામાં આવેલાં યુદ્ધ સ્મારકને ખુલ્લું મુક્યું હતું. નવીનીકરણ કરવામાં આવેલા આ યુદ્ધ સ્મારકને `શ્રદ્ધાંજલિ પાર્ક'?નામ અપાયું છે. આ સ્મારકની મધ્ય ગુંબજની બંને બાજુએ બે નવી તકતીઓ સ્થાપવામાં આવી છે, જેના પર કચ્છનાં રણમાં બિઅર બેટ, પોઇન્ટ 84 અને અન્ય સ્થળોએ લડાયેલા ભીષણ યુદ્ધના ઐતિહાસિક અહેવાલોને નકશીકામ દ્વારા આલેખિત કરાયા છે. 1965નાં યુદ્ધના શહીદ નાયકોના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપતા આ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રણ ક્ષેત્રમાં 1965ના ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં લડેલા યુદ્ધ નિવૃત્ત?સૈનિકો કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 3 પેરા (કુમાઉ) અને 2 સિખિલ બટાલિયનનાં આ યુદ્ધ નિવૃત્ત?સૈનિકો તેમની વૃદ્ધાવસ્થા અને વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓ હોવા છતાં લુધિયાણા અને જયપુરથી આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. માધાપર ગામની ચૌદ વીરાંગનાઓએ પણ હાજરી આપી હતી, જેમણે 1971નાં યુદ્ધ દરમ્યાન ભુજ હવાઇપટ્ટીના પુન:નિર્માણમાં ભારતીય સશત્ર દળોને મદદ કરી હતી. યુદ્ધ નિવૃત્ત સૈનિકો અને વીરાંગનાઓએ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરીને આપેલા અમૂલ્ય યોગદાનની સ્વીકૃતિ તરીકે મુખ્યઅતિથિએ તેમને સન્માનિત કર્યા હતા.