• શનિવાર, 18 મે, 2024

હારનો હિસાબ બરાબર કરવા પંજાબ સામે ઊતરશે ચેન્નાઈ

નવી દિલ્હી, તા. 4 : આઇપીએલ ટૂર્નામેન્ટમાં ફરી એક વખત રવિવારે બે મેચ રમાશે. દિવસનો પહેલો મુકાબલો 3.30 વાગ્યે પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે ધર્મશાળામાં રમાશે જ્યારે બીજી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે લખનઉમાં થશે. કોલકાતા અને રાજસ્થાન સિવાય બાકીની આઠ ટીમ વચ્ચે પ્લે ઓફની બે જગ્યા માટે જંગ થઈ રહી છે. આ માટે પંજાબ અને ચેન્નાઈ વચ્ચેનો મુકાબલો મહત્ત્વનો બની રહેશે. જે ધર્મશાળામાં રમાશે. ધર્મશાળામાં સીઝનની પહેલી મેચ રમાવા જઈ રહી છે. પંજાબનો ગયો મુકાબલો પણ ચેન્નાઈ સામે જ હતો. જેમાં પંજાબે સીએસકેને તેનાં જ ઘરમાં સાત વિકેટે હરાવ્યું હતું. તેવામાં ચેન્નાઈની નજર હિસાબ બરાબર કરવા ઉપર રહેશે. પંજાબનો નિયમિત કેપ્ટન શિખર ધવન ઈજાગ્રસ્ત છે. તેની ગેરહાજરીમાં સેમ કરન છેલ્લી બે મેચમાં કેપ્ટનશિપ કરી હતી અને બન્ને મેચ ટીમ જીતી છે. તેવામાં ધવનની વાપસી અંગે પણ અટકળો લાગી રહી છે. ચેન્નાઈને હરાવ્યા પહેલા પંજાબે કોલકાતાને હરાવ્યું હતું. તેવામાં પંજાબની નજર સતત ત્રીજો મુકાબલો જીતીને પ્લે ઓફની આશા જીવંત રાખવાનો છે. પોઇન્ટ ટેબલમાં પંજાબ સાતમા ક્રમાંકે છે જ્યારે ચેન્નઈ પાંચમા સ્થાને છે. પંજાબ અને ચેન્નાઈ વચ્ચે આઇપીએલમાં અત્યાર સુધીમાં 29 મુકાબલા રમાયા છે. જેમાંથી 15મા ચેન્નાઈ અને 14મા પંજાબે જીત નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang