• સોમવાર, 06 મે, 2024

સ્વામિનારાયણ સનાતન મંદિર પાટોત્સવ પ્રસંગે કળશયાત્રા

જ્યોર્જિયા (અમેરિકા), તા. 23 : એસજીવીપી ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીની આગેવાનીમાં અમેરિકાનાં જ્યોર્જિયા સ્ટેટમાં આવેલાં સવાનાહ શહેરમાં આશરે બાવન એકર જમીનમાં ગુરુકુલનો સુંદર વિકાસ થઇ?રહ્યો છે. અહીં માનસરોવર કિનારે સ્વામિનારાયણ સનાતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં  વૈદિક હિન્દુ ધર્મની સર્વે ધારાઓનાં સમન્વય સ્વરૂપે દ્વાદશ જ્યોતિર્લિંગ, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન વિષ્ણુ, શિવજી, ગણપતિજી, પાર્વતીજી તથા સૂર્યનારાયણનાં દિવ્ય સ્વરૂપોની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. પંચમ પાટોત્સવ નિમિત્તે પંચદિનાત્મક મહોત્સવ યોજાયો હતો. પ્રથમ દિવસે માનસરોવરનું પૂજન કરવામાં આવ્યું હતું. માનસરોવરનાં પૂજન માટે ભારતથી એક હજાર તીર્થનું જળ એકત્રિત કરવામાં આવ્યું હતું. પાંચસોથી વધારે મહિલાએ તીર્થજળના કળશોને મસ્તક પર લીધા હતા અને માનસરોવરને ફરતા લગભગ એક કિલોમીટર જેટલા માર્ગમાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી. અમેરિકા જેવા દેશમાં રીતે તીર્થજળ સાથેની વિશાળ જળયાત્રા પ્રથમવાર યોજાઇ હતી. શોભાયાત્રાનાં સમાપન સમયે વેદમંત્રોના ઘોષ સાથે તીર્થજળને માનસરોવરમાં પધરાવવામાં આવ્યું હતું અને વરુણદેવ સહિત સર્વ તીર્થદેવોની સમૂહ આરતી ઉતારવામાં આવી હતી. સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, આજથી સરોવર સાચા અર્થમાં માનસરોવર બન્યું છે. સરોવરનાં જળને માથે ચડાવવાથી સર્વ તીર્થોનાં સ્નાનનું ફળ પ્રાપ્ત થશે. કળશયાત્રાનો લાભ લેવા માટે જ્યોર્જિયાનાં સવાનાહ, સ્ટેટબોરો, હેન્સવિલ, રિચમંડ, રિંકન, બ્રુન્સવીક વગેરે વિવિધ વિસ્તારોમાંથી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang