• રવિવાર, 15 જૂન, 2025

તમામ ડ્રીમલાઇનરની સુરક્ષા ચકાસાશે

અમદાવાદ, તા. 13  (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદમાં ગઈકાલે 12 જૂને એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડયા બાદ જાગેલા ભારતીય નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ)એ આજે નવા આદેશ જાહેર કરી, બોઈંગના તમામ ડ્રીમલાઈનર વિમાનોની સુરક્ષાની તપાસ કરવાની કામગીરી કડક બનાવી દીધી છે. અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-એઆઈ-171 ઉડાન ભરતાંની સાથે જ મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડયા બાદ ડીજીસીએએ આ નિર્દેશ જાહેર કર્યો છે. ડીજીસીએએ એર ઈન્ડિયાને આદેશ આપ્યો છે કે, એરલાઈન્સ તેના તમામ વિમાનનું ઉડ્ડયન કરે તે પહેલાં તેની વિશેષ તપાસ પ્રક્રિયા 15 જૂન-થી ફરજિયાત લાગુ કરે. ડીજીસીએએ ઉડ્ડયન પહેલા અનેક મહત્ત્વની ટેકનિકલ તપાસ જેમ કે ફ્યૂલ પેરામીટર મોનિટારિંગ, કેબિન એર કોપ્રેસર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ ટેસ્ટ, એન્જિન ફ્યુઅલ એક્યુએટર ઓપરેશન, અૉઈલ સિસ્ટમ અને હાઇડ્રોલિક સિસ્ટમ સહિતની સિસ્ટમ પર વિશેષ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આદેશમાં એમ પણ કહેવાયું છે કે, એર ઈન્ડિયા તેના તમામ વિમાનમાં ફ્લાઈટ કંટ્રોલ ઈન્સ્પેક્શન કરતું રહે તેમજ આ પ્રક્રિયા આગામી આદેશ સુધી ચાલુ રાખે. ડીજીસીએએ એરલાઈન્સને બે સપ્તાહની અંદર પાવર એશ્યોરન્સ ફરજીયાત ચકાસવા પણ કહ્યું છે. આ ઉપરાંત છેલ્લા 15 દિવસમાં બોઈંગ ડ્રીમલાઈનર વિમાનોમાં જેટલીવાર ટેકનિકલ ખામીઓ સર્જાઈ છે, તેની સમીક્ષા કરવાનો તેમજ તેને સંબંધીત તમામ મેન્ટેન્સ કામગીરી વહેલી પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે.  ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 12 જૂને અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ થયા બાદ તુરંત મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાનમાં કુલ 242 મુસાફરો હતા, જેમાંથી 241 લોકોના મોત થયા છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ ઘટના બાદ ડીજીસીએએ એર ઈન્ડિયાની સુરક્ષાને વધુ કડક બનાવવા માટે આ આદેશ આપ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય તેમજ પ્રવાસીઓના જીવ પર જોખમ ન રહે, તેને ધ્યાને રાખી ડીજીસીએએ કડક પગલા ભરવાના શરૂ કરી દીધા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd