અમદાવાદ, તા. 13 : ખતરનાક વિમાન દુર્ઘટના બાદ
ગુજરાતમાં દોડી આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળ, હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત બાદ શુક્રવારે
કહ્યું હતું કે, આપણ સૌ સ્તબ્ધ છીએ. વડાપ્રધાને રાજ્ય સરકારના
ટોચના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને જરૂરી તમામ પગલાં વિનાવિલંબે લેવાની
સૂચના આપી હતી. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજારાપ્પુ રામ મોહન નાયડુ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલ, કેન્દ્રીય રાજ્ય
ઉડ્ડયન મંત્રી મૂરલીધર મોહોલ, ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી
બલવંતાસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ જોશી,
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, રાજ્ય
પોલીસવડા વિકાસ સહાય સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી
વિજય રૂપાણીના પરિવારને રૂબરૂ મળીને સાંત્વના આપતાં વડાપ્રધાને શોકભેર જણાવ્યું હતું
કે, વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા એ અકલ્પનીય છે. હું તેમને દાયકાઓથી
જાણું છું, અમે દાયકાઓ જૂના સાથી છીએ. ખભેખભા મિલાવીને કામ કર્યું,
જેમાં કેટલાક સૌથી પડકારરૂપ સમય પણ સામેલ છે. વડાપ્રધાન મોદીએ દુર્ઘટના
સ્થળે પહોંચી જઈને રાહત-બચાવકાર્યમાં કામે લાગેલા અધિકારીઓ, ટીમો
સાથે મુલાકાત કરી હતી અને ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. શબ્દો ઓછા પડી રહ્યા છે,
વર્ષો સુધી ખાલીપો રહેશે, તેવા શબ્દો સાથે સ્વજનો
ખોનાર શોકસંતપ્ત પરિવારો પ્રત્યે મોદીએ સંવેદના વ્યક્ત કરી હતી. વડાપ્રધાને વ્યથિત
સ્વરે કહ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં અચાનક લોકોનાં હૃદયદ્રાવક
મૃત્યુના આઘાતને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે એરપોર્ટ
પાસે ગુજસેલ બિલ્ડિંગમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈના પત્ની અંજલિ રૂપાણી અને પરિવારના
અન્ય સભ્યો સાથે મુલાકાત કરી હતી. મોદીએ રૂપાણીને અંજલિ આપતાં કહ્યું હતું કે,
મુખ્યમંત્રી તરીકે વિજયભાઈએ અનેક એવાં પગલાં લીધાં, જેનાં કારણે ગુજરાતના વિકાસને ગતિ મળી. દુ:ખની આ ઘડીમાં મારી સંવેદના વિજયભાઈના
પરિવાર અને પ્રિયજનો, મિત્રો સાથે છે, તેવું
મોદીએ જણાવ્યું હતું.