અમદાવાદ, તા. 13 : \અહીંથી લંડન જવા નીકળેલાં એર ઈન્ડિયાનાં બોઈંગ ડ્રીમલાઈનર વિમાનને નડેલી ગોઝારી દુર્ઘટનાથી અમદાવાદ કણસી રહ્યું છે અને સ્વજનો ગુમાવનારાઓના આક્રંદથી માહોલ હજી પણ ગમગીન છે. આ હૃદયદ્રાવક અકસ્માતમાં સત્તાવાર મૃત્યુઆંક 26પ બતાવાયો છે તેમજ ત્રીસેક જણ ઘવાયા હોવાનું કહેવાય છે. વિમાનનું બ્લેકબોક્સ અને ડિજિટલ વીડિયો રેકોર્ડર (ડીવીઆર) મળી આવ્યા છે અને એરક્રાફ્ટ એક્સિડેન્ટ એજન્સીએ તપાસ શરૂ કરી દીધી છે અને અમેરિકાના નિષ્ણાતોની ટીમ પણ અમદાવાદ આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં અકસ્માતનાં કારણો પરથી પરદો ઊંચકાવાની શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ પહોંચ્યા હતા અને ભયાનક દુર્ઘટનામાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારજનો તેમજ વિમાનના મુસાફરો પૈકી બચી ગયેલા એકમાત્ર શખ્સ રમેશ વિશ્વાસકુમારને મળ્યા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલ સહિતનાઓની ઉપસ્થિતિમાં ઉચ્ચ બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ક્ષતવિક્ષત થયેલા મૃતદેહોની ઓળખ અશક્ય હોવાથી આજે 192 જણના ડીએનએ નમૂના લેવાયા હતા. ગમખ્વાર અકસ્માત બાદ બોઈંગ ડ્રીમલાઈનર સામે અનેક સવાલો ઊઠયા છે ત્યારે હવે જાગેલા ડીજીસીએ દ્વારા તમામ બોઈંગ ડ્રીમલાઈનરની સુરક્ષા ચકાસવાના આદેશ અપાયા છે અને સરકારે પણ બોઈંગ પર રોકની તૈયારી કરી હોવાના અહેવાલ છે. અમેરિકાની ટોચની તપાસ એજન્સી નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ (એનટીએસબી) પણ ભારતની મદદ માટે આગળ આવી છે અને આ દુર્ઘટનાની તપાસમાં જોડાશે, તો આ દુર્ઘટનામાં બ્રિટનનાં અનેક નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો છે ત્યારે તપાસમાં સહયોગ માટે યુકે એર એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (એએઆઈબી)ની એક ટીમ પણ અમદાવાદ મોકલવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. એરપોર્ટ ઉપરથી ઊડયા પછીની થોડી જ ક્ષણોમાં મેઘાણીનગરમાં બી.જે. મેડિકલ કોલેજનાં પરિસરમાં મેસ સાથે ટકરાઈને તૂટી પડેલાં વિમાનનો આગળનો હિસ્સો હોસ્ટેલની ઈમારત પાસે ધડાકાભેર ફાટયો હતો. અગનગોળો બનીને ફાટેલા વિમાનનો ધડાકો અને આગ એટલી પ્રચંડ હતી કે, પળભરમાં ત્યાં 1000 ડિગ્રી જેટલાં તાપમાને જે ચપેટમાં આવ્યું તેને ભસ્મીભૂત કરી નાખ્યું હતું. આ સંજોગોમાં વિમાનમાં સવાર લોકો અને હોસ્ટેલનાં તબીબી છાત્રો પણ આંખનાં પલકારામાં જ ભડથું બની ગયા હતાં. આ ઘટના પછી અઢીસો જેટલા મૃતદેહો તો હાથ લાગ્યા હતા પણ તેમાંથી કોઈની પણ ઓળખ શક્ય બને તેવી હાલતમાં નથી. તેથી તેમનાં પરિજનો સાથે ડીએનએ મેચિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચોમેર મૃતકોનાં સ્વજનોનાં આક્રંદ અને ચીસોના પડઘા ગુંજી રહ્યા છે. ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિયેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અક્ષય ડોંગારડિવે કહ્યું હતું કે, મૃતદેહોની ઓળખ માટે ડીએનએની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. શોકમાં ડૂબેલા મૃતકોના સ્વજનો અમદાવાદ સિવિલનાં પરિસરમાં મૃતદેહોની સોંપણીની રાહમાં ટળવળી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સોશિયલ મીડિયામાં એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, આતંરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન દ્વારા બનાવવામાં આવેલા નિયમોને આધીન એરક્રાફ્ટ એક્સિડેન્ટ બ્યૂરોએ દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત અમેરિકાની નિષ્ણાતોની ટીમ પણ સહયોગ આપવા માટે અમદાવાદ આવી રહી છે. અમેરિકાનું નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન, બોઈંગ અને જનરલ ઈલેક્ટ્રિક પણ પોતાનાં તજજ્ઞોને મોકલીને તપાસમાં મદદ કરવાના છે. બીજીબાજુ બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું હતું કે, આ દુર્ઘટનાની તપાસ માટે એક વિશેષ દળને ભારત મોકલવામાં આવશે, તો એક નાગરિક વિમાનની દુર્ઘટનાની તપાસ કરતી એક બ્રિટિશ એજન્સીએ પણ તપાસમાં સહયોગ માટે અમદાવાદ ટીમ મોકલવાની તૈયારી બતાવી હતી. દરમિયાન ઘટનાસ્થળની તપાસમાં બ્લેકબોક્સ મળી આવ્યું હોવાનાં અહેવાલ છે, જેનાથી વિમાન તૂટી પડવા પહેલાંની ક્ષણોની સ્થિતિ વિશે મહત્ત્વની જાણકારીઓ બહાર આવી શકે છે. નાયબ પોલીસ કમિશનર કનન દેસાઈએ જણાવ્યું હતું કે, મૃતકોનો અધિકૃત આંકડો ડીએનએ ટેસ્ટ પૂરા થયા પછી જ જાહેર કરી શકાશે. વિમાન મેડિકલ કોલેજની હોસ્ટેલ ઉપર તૂટયું અને પછી ત્યાં આગ લાગી હોવાથી હોસ્ટેલના અનેક છાત્રોનાં મૃત્યુ પણ થયાં છે અને સંખ્યાબંધ ઘાયલ હાલતમાં સારવાર હેઠળ છે. - પક્ષીની ટક્કર, એન્જિનમાં ખામી સહિતના ચાર કારણો પર તપાસ : અમદાવાદ, તા. 13 : એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના ચાર સંભવિત કારણ પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં પક્ષીની ટક્કર, ડબલ એન્જિનમાં ખરાબી, એન્જિનમાં ગંદકી અને અધિક વજનનો સમાવેશ થાય છે. વિમાનની મરંમત કે દેખરેખમાં કોઇ ચૂક થઇ હતી કે કેમ તે દિશામાં પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને રડાર ડેટાનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ગોઝારી ઘટનામાં એક માત્ર જીવિત બચેલી વ્યક્તિનું નિવેદન તપાસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. તેણે એમ જણાવ્યું હતું કે, ઊડાન ભર્યાની એક જ મિનિટમાં એવું લાગ્યું હતું કે, જાણે વિમાનની શક્તિ જ ખૂટી પડી હોય. આ બાબતથી સંકેત મળી રહ્યો છે કે એન્જિન બંધ પડી ગયા હતા. વિમાન દુર્ઘટનાની તપાસ માટે ટેકનિકલ ડેટા અને જીવિત બચેલી વ્યક્તિનું નિવેદન મહત્ત્વની કડી બનશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ કહ્યું કે, ઇંધણનો કુલ જથ્થો, પ્રવાસીઓની સંખ્યા અને સમાનનું સટીક અનુમાન લગાવવું પણ જરૂરી છે. વિમાનનું બ્લેક બોક્સ અને ડીવીઆરમળી આવતાં દુર્ઘટનાના કારણો પરથી પડદો ઊંચકાશે.