નવીદિલ્હી,તા.20 :
પાકિસ્તાન અને ચીન દ્વારા સંયુક્ત સુરક્ષા કંપનીઓની સ્થાપના માટે સમજૂતીની તૈયારી કરી
લેવામાં આવી છે. જે ભારત માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે કારણ કે આ કરારનાં ભાગરૂપે
ચીન પાક.માં પોતાનાં સૈનિકોને પણ તૈનાત કરી શકશે. આ સમજૂતીથી પાકિસ્તાનમાં ચીની સૈનિકોની
તૈનાતીનો માર્ગ ખુલી જશે. ચીનનું કહેવું છે કે, આ સુરક્ષા સમજૂતીથી પાકિસ્તાનમાં કામ
કરતા હજારો ચીની નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે કારણ કે અનેક ઘાતક આતંકવાદી
હુમલાઓમાં તેના અબજો ડોલરનાં રોકાણો ખતરામાં મૂક્યા હતાં. જો કે સંરક્ષણ બાબતોનાં નિષ્ણાતોને
આશંકા છે કે, આ સમજૂતીથી ચીનનો પ્રયાસ ભારતને ઘેરવાનો છે. પાકિસ્તાન પહેલા પણ ચીનની
મદદથી પાક. કબજાગ્રસ્ત કાશ્મીર, ગિલગિટ- બાલ્ટીસ્તાન સહિતનાં વિસ્તારોમાં સૈન્ય માળખાને
ઝડપથી મજબૂત કરી રહ્યું છે. બન્ને દેશો વચ્ચે આ કરાર થયા બાદ ચીની સૈનિકો પાકિસ્તાનની
અંદર તૈનાત રહીને કામ કરી શકશે. જો કે ચીને પોતાની સેનાને તૈનાત કરવાનો પ્રસ્તાવ તો
પહેલા પણ મોકલ્યો હતો. જો કે એ વખતે પાકિસ્તાને તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે પાકિસ્તાન
ચીન સામે ઘૂંટણીયે આવી ગયું હોવાનું જોવા મળી રહ્યું છે.