બેરૂત, તા. 20 : છેલ્લા ત્રણ દિવસથી પેજર અને વોકીટોકીમાં વિસ્ફોટ
કરીને આક્રમક બનેલાં ઈઝરાયેલ અને લેબેનોન સમર્થક આતંકી જૂથ હિઝબુલ્લાહ વચ્ચે હવે ખતરનાક
યુદ્ધ જામ્યું છે. સામે સામા હવાઈ હુમલામાં ખુવારીથી સામાન્ય નાગરિકોમાં ભારે ભય ફેલાયો
હતો. ઈઝરાયલ છેલ્લા 24 કલાકમાં બીજીવાર લેબેનોન પર કરેલા હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના
વરિષ્ઠ કમાન્ડર ઈબ્રાહીમ અકિલ સહિત નવ લોકોના મોત થયા હતા. બીજીતરફ હસન મસરુલ્લાહે
બદલો લેવાના સોગંધ લીધાના બીજા જ દિવસે શુક્રવારે હિઝબુલ્લાહે એરપોર્ટ, ગામો અને ઘરો
પર નિશાન સાધતાં 140 મિસાઈલોથી ઈઝરાયલ પર ભયાનક હુમલો કર્યો હતો. ઇઝરાયલ સુરક્ષા દઈ
(આઇ.ડી.એફ.)એ જણાવ્યું હતું કે, તેમણે લેબેનોનના હિઝબુલ્લાહના સોથી વધુ રોકેટ લોન્ચર્સ
પર હુમલા કરીને તેને નષ્ટ કરી દીધા છે. આ હુમલામાં 1000 રોકેટ બૈરલને નુકસાન થયું હતું. આઇ.ડી.એફ.એ કહ્યું હતું કે, હિઝબુલ્લાહ
આ હથિયારો વડે ઇઝરાયલ પર હુમલાની તૈયારીમાં હતું. ઇઝરાયલી સેનાને હિઝબુલ્લાહની ઇમારતો
અને એક હથિયાર ડિપોને પણ નુકસાન કરવાનો દાવો કર્યો હતો. ઇઝરાયલના હુમલા બાદ આઇ.ડી.એફ.એ
ઉત્તર ઇઝરાયલમાં રહેતા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં
બોમ્બ હુમલાથી બચવા માટેના આશ્રય સ્થાનોની
નિકટ રહેવા કહેવાયું છે. ઉપરાંત, ઇઝરાયલી નાગરિકોને કારણ વિના જાહેર જગ્યાઓ પર એકઠા
ન થવા જણાવાયું છે. તેમને દરેક વિસ્તાર અને સમુદાયોને વ્યવસ્થિત રીતે સુરક્ષા કરવા
જણાવાયું છે. હિઝબુલ્લાહના વડાએ સિરીયલ ધડાકાઓને યુદ્ધની જાહેરાત બતાવી હતી. તેમણે
જણાવ્યું હતું કે, ઇઝરાયલે આ હુમલા સાથે બધી જ સીમાઓ ઓળંગી ગયા છે. આ નરસંહાર લેબેનોનના
નાગરિકો વિરુદ્ધ ઇઝરાયલની જંગની શરૂઆત છે.