દેવભૂમિ શિમલામાં અનધિકૃત મસ્જિદ સામે હજ્જારો સ્થાનિક લોકો
વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે-મસ્જિદ ઉપરાંત મોટી સંખ્યામાં બાંગલાદેશી ઘૂસણખોરોની
સમસ્યા મૂળમાં છે. શિમલાના સંજૌલીમાં એક મસ્જિદના અનધિકૃત બાંધકામ પર નગર નિગમ આયુક્તની
કોર્ટમાં 14 વર્ષથી પેન્ડિંગ કેસને લઈ રાજ્યના બધા જિલ્લાઓમાં ભારે આક્રોશ છે. રાજ્યનાં બાંધકામ ખાતાંના પ્રધાન વિક્રમાદિત્ય સિંહે
ખાતરી આપી છે કે, બાંધકામ અનધિકૃત હશે તો તોડી પાડવામાં આવશે. મોડી રાત્રે સરકારે નગર
નિગમના આર્કિટેક મહબૂબ અલી શેખની બદલી કરી નાખી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન
ખડગેએ મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહ સુક્ખુ પાસે રિપોર્ટ માગ્યો છે. સૌથી મોટો સવાલ
એ છે કે, જો કોઈ મસ્જિદનું અનધિકૃત બાંધકામ થઈ રહ્યું હતું, તો તેને રોકવાની જવાબદારી
લોકોની હતી ? મુખ્ય પ્રશ્ન એ છે કે, સરકારી જમીન ઉપર મસ્જિદ બાંધવાની પરવાનગી કોણે
આપી ? 1પ વર્ષમાં અદાલતનો ચુકાદો કેમ આવ્યો નહીં ? બહુમતી વર્ગના સમૂહે જ્યારે વિરોધ
દેખાવોનું આહ્વાન કર્યું હતું, ત્યારે શાસને સાવધાન થઈ જવું જોઈતું હતું. શાસનની આ
પ્રાથમિક જવાબદારી છે કે, તે સાંપ્રદાયિક તાણને વધવાથી રોકવા માટે દરેક સંભવ પ્રયાસ
કરે, પરંતુ શાસનની ઉદાસીનતાએ સ્વયંભૂ વિરોધ જગાવ્યો છે. બાંધકામ અનધિકૃત હોય તો તેની
વિરુદ્ધ સ્થાનિક શાસને ખુદે કાર્યવાહી કરવી જોઈએ. મસ્જિદના આર્કિટેકનું પણ કહેવું છે
કે, તેણે એક માળની મસ્જિદની પ્રિન્ટ બનાવી હતી, પરંતુ વધુ ચાર માળ કેવી રીતે ચણાઈ ગયા,
તેની તેને ખબર નથી! શિમલામાં આવી તંગદિલી ભયસૂચક ઘંટડી છે. હિન્દુ સંગઠનોનું કહેવું
છે કે, શિમલામાં ભારે પ્રમાણમાં રાહિંગ્યા અને બાંગલાદેશના લોકો ઘૂસી આવ્યા છે અને
શિમલા જેવું દેશનું સુંદર-શાંત-શાલીન શહેર આવા લોકોનો અડ્ડો બની ગયો છે. બહારથી આવનારા
સામે સરકારે સજાગ રહેવું જોઈએ. અમન-ચૈન-સામૂહિક જવાબદારી છે અને તેની સાથે રમત કરનારી
કોઈપણ વ્યક્તિને સવલત આપવાથી દૂર રહેવું જોઈએ.