• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

વાગડ પંથકમાં વાયરચોર ટોળકીનો તરખાટ વણથંભ્યો

ગાંધીધામ, તા. 20 : વાગડ પંથકમાં વાયરચોર નવી ટોળકીનો તરખાટ જારી રહ્યો હતો. રાપરના ફતેહગઢમાં પાંચ વાડી-ખેતર તથા પાણી પુરવઠાના બોરમાંથી નિશાચરોએ રૂા. 26,400ના વાયરની ચોરી કરી હતી. રાપરના ફતેહગઢ ગામના વાડીવિસ્તારમાં ગત તા. 8/9 અને 9/9ની રાત્રિ દરમ્યાન તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. સામૂહિક ચોરીના બનાવોને અંજામ આપીને નિશાચરોએ પોલીસને દોડતી કરી મૂકી છે. બનાવ અંગે ખેડૂત એવા ખીમજી નારણ કરવડ (ચૌધરી)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભોજનારી ડેમ પાછળ આવેલી તેમની વાડીએ તા. 9/9ના જતા ત્યાં 70 ફૂટ વાયર કાપીને તસ્કરો લઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. તપાસ કરતા મેઘા બાઉ વાવિયાના ખેતરમાંથી 210 ફૂટ વાયર (પટ્ટી), દેવરાજ બાઉ વાવિયાના ખેતરમાંથી 70 ફૂટ, મીઠુખાન મેવાખાન બલોચના ખેતરમાંથી 70 ફૂટ, કાના ભારમલ ચૌધરીના ખેતરમાંથી 30 ફૂટ વાયરની ચોરી થઈ હતી તેમજ ભાઈખાન જમાલખાન બલોચે ગામની પાણી પુરવઠાના જૂના બોરમાંથી પણ 210 ફૂટ વાયર ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. નિશાચરોએ છ જગ્યાએથી રૂા. 26,400ના વાયરની ચોરી કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang