• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

અયોધ્યા કે ધામ મેં ભઈ ભક્તન કી ભીર રામલલ્લા કે ભાલ પર તિલક કરે સૂર્યવીર

અયોધ્યા, તા. 17 : અયોધ્યામાં રામનવમીએ રામલલ્લાના સૂર્યતિલકનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. અયોધ્યામાં રામમંદિરના નિર્માણ બાદ પહેલી રામનવમી આવી હતી. મોકે રામલલ્લાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ઉપરથી દિવ્ય સૂર્યતિલકનું દૃશ્ય ખૂબ મનમોહક બન્યું હતું. રામનવમી ઉપર મંદિરને વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક દર્પણ મારફતે સૂર્યના કિરણો ભગવાન રામના મસ્તક ઉપર તિલક રૂપે પાડવામાં આવ્યા હતા. અંદાજિત પાંચ મિનિટ સુધી રામલલ્લાના મસ્તક ઉપર સૂર્યતિલક જોવા મળ્યું હતું. પીએમ મોદીએ પણ નજારો નિહાળ્યો હતો, જેની તસવીર જારી થઈ છે. જેમાં મોદી ચપલ પહેર્યા વિના છાતી ઉપર હાથ રાખીને રામલલ્લાને નિહાળી રહ્યા છે. સાથે મોદીએ દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા પણ આપી હતી. પીએમ મોદીએ રામલલ્લાના સૂર્યતિલકને નિહાળતા સમયની બે તસવીરો જારી કરી હતી. તેમણે લખ્યું હતું કે, નલબાડીની સભા બાદ અયોધ્યામાં રામલલ્લાના સૂર્યતિલકના અદ્ભુત અને અપ્રતિમ ક્ષણને જોવાનું સૌભાગ્ય મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિની બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે પરમાનંદની ક્ષણ હતી. સૂર્યતિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દિવ્ય ઊર્જાથી પ્રકાશિત કરશે. પીએમએ રામનવમીની શુભકામના પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, પહેલી રામનવમી છે જ્યારે અયોધ્યાના ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રામલલ્લા બિરાજમાન થઈ ચૂક્યા છે. રામનવમીના ઉત્સવમાં આયોધ્યા એક અપ્રતિમ આનંદમાં છે. 500 વર્ષથી પ્રતીક્ષા બાદ રામનવમી અયોધ્યામાં ઊજવવાનું સૌભાગ્ય મળ્યું છે. જે દેશવાસીઓની કઠિન તપસ્યા, ત્યાગ અને બલિદાનનું પરિણામ છે. મોદીએ આગળ કહ્યું હતું કે, પ્રભુ શ્રી રામ ભારતીય જનમાનસના દરેક રુંવાડામાં વસેલા છે. અંતર્મનમાં સમાહિત છે. ભવ્ય રામમંદિરની પ્રથમ રામનવમીનો અવસર અસંખ્ય રામભક્તો, સંત-મહાત્માનું સ્મરણ અને નમન કરવાનો અવસર પણ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang