ભુજ, તા. 25 : વર્ષ
2024ના
ત્રીજી ઓકટોબરે ભુજમાં થયેલી હત્યા અને 26મી ડિસેમ્બર, 2022ના માધાપરના એચ.પી. પેટ્રોલપંપ
પાસે થયેલા ખૂનમાં આ બે અલગ-અલગ કેસમાં જિલ્લા અદાલતે આરોપીઓને નિર્દોશ જાહેર
કર્યા છે. ભુજમાં 3-10-24ના ઇમરાન ઉર્ફે વાલડી મુબારક
જુણેજા મૃતક રૂઝૈન અબ્દુલ રજાક હીંગોરજા પાસે રૂા. એક હજાર માગતો હોઇ ઇમરાને
રૂપિયા માગતાં ઝૈને રૂપિયા આપવાની ના પાડતાં ઇમરાને ઝઘડો કર્યો હતો અને રૂઝૈનને
છરીના ઘા છાતી તથા કમરના ભાગે મારી હત્યા નીપજાવ્યાની ફરિયાદ જે-તે સમયે બિ-ડિવિઝન
પોલીસ મથકે નોંધાઇ હતી. આ કેસમાં 14 મૌખિક સાહેદો તથા દસ્તોવેજી
પુરાવા રજૂ થયા હતા. બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ ફરિયાદ પક્ષ પોતાનો કેસ
પુરવાર કરવામાં નિષ્ફળ જતાં મુખ્ય ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જ્જ દિલીપ પી. મહિડાએ
આરોપી ઇમરાનને નિર્દોષ છોડી મૂકવા હુકમ ફરમાવ્યો હતો. આરોપી તરફે લીગડ એઇડ ડિફેન્સ
કાઉન્સિલના મુખ્ય એડવોકેટ સી.સી. ગુજરાતી અને એસ.આર. સિંગ, કે.ડી. ગરવા, કે.એમ. ચારણિયા, વી.એમ. ચારણિયા, આર. કે. સમેજા, એન.એમ. રાઠોડ, એસ.એ.
લુહાર, ડી.પી. જોશી
હાજર રહ્યા હતા. આ ઉપરાંત 26-12-22ના માધાપરના એચ.પી. પેટ્રોલપંપ
પાસે રાત્રે જિજ્ઞેશ શામજીભાઇ મ્યાત્રા (આહીર)ને છાતીમાં તીક્ષ્ણ ઘા મારી અજાણ્યા
શખ્સે હત્યા કર્યાની જે-તે સમયે તેના ભાઇએ માધાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
હતી. તપાસમાં આરોપી તરીકે ખીમજી વેલજી આહીર સામે આવતાં તેની અટક કરવામાં આવી હતી. 31 મૌખિક
સાક્ષીઓ તથા 33 દસ્તાવેજી પુરાવા રજૂ થયા હતા. આ કેસમાં અધિક સેશન્સ અદાલતે
આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. આરોપી પક્ષના એડવોકેટ આર.એસ. ગઢવી, વી.જી. ચૌધરી, શિવમ બી. સોલંકી, વિશ્વા એન. પરમાર હાજર રહ્યા હતા.
ગાંધીધામ સગીરા ઉપર દુષ્કર્મના
કેસમાં આરોપી નિર્દોષ
સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાના
કેસમાં ગાંધીધામની અદાલતે આરોપીને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્યો હતો. આ
કેસની વિગત એવી હતી કે, આરોપી અજય ઉર્ફે વીર વેલજીભાઈ ફુફલ (મહેશ્વરી)એ 16 વર્ષીય
કિશોરીને શરીર સંબંધ બાંધવા નહીં દે તો સ્યૂસાઈડ નોટમાં ખોટું નામ લખાવી દેવાની
ધમકી આપી બળાત્કાર ગુજાર્યે હોવાના મામલે
પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ બનાવ ગત. તા.1-12-2022થી 2-3-2024ના
અરસામાં બન્યો હતો. આ કેસ ગાંધીધામના અધિક સેશન્સ
ન્યાયાધીશ એ. એમ. મેમણ સમક્ષ ચાલી ગયો હતો. અદાલતે મૌખિક નિવેદન તથા રજૂ થયેલા
પુરાવા તેમજ બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી અજયને નિર્દોષ છોડી મૂકવા આદેશ
આપ્યો હતો. બચાવ પક્ષે ધારાશાત્રી આર.ટી. લાલચંદાણી તથા સહાયક ધારાશાત્રી મમતા
આહુજા, રાજેશ
માલી, સાગર મસુરિયા, સંજય રાઠોડ રહ્યા
હતા.