ગાંધીધામ, તા. 23 : અહીંના ભારતનગર ખાતે મુખ્ય બજારમાં આવેલી જલારામ મોબાઇલ નામની દુકાનમાં અજાણ્યા ઇસમો ત્રાટકીને અંદર રાખેલા મોબાઈલ ફોન મળી રૂપિયા 25 હજારની સામગ્રીનો સફાયો કરી ગયા હતા. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આજે સવારે આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ભારતનગરમાં રહેતા અમિતભાઈ ચમનલાલ સાયતા (ઠક્કર)એ સોમવારે રાત્રિના દુકાન વધાવી ઘરે ગયા હતા. ત્યારબાદ આજે હનુમાન જયંતી હોવાથી વેપારી મંદિરે દર્શન કરી દુકાને સફાઈ કરવા ગયા હતા. આ વેળાએ ચોરીના બનાવની જાણ થઈ હતી. વેપારીએ દુકાનમાં તપાસ કરતાં અજાણ્યા શખ્સોએ દુકાનના પતરાં તોડી અંદર ઘૂસ્યા હતા અને રિપારિંગ માટે આવેલા જુદી-જુદી કંપનીના મોબાઈલ ફોન પાંચ તથા એક પાવર બેંકની ચોરી થયાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.