ગાંધીધામ, તા. 23 : અહીંના ભારતનગર ખાતે રહેતા વિનોદભાઈ પારવાણી (ઉ.વ.52) જેઓ બપોરના અરસામાં મોટરસાઈકલમાં ઘર તરફ જતા હતા, ત્યારે આદિપુરમાં રેલવે સ્ટેશન રોડ પર આખલાએ તેમને હડફેટે લેતાં માથાંના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં સારવાર દરમ્યાન આધેડે અંતિમ શ્વાસ લઈ લેતાં ગમગીની પ્રસરી ગઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ તા. 12/4 બપોરના સાડા બારેક વાગ્યાના સમયે આ બનાવ બન્યો હતો. અહીંના ભારતનગર ખાતે રહેતા વિનોદભાઈ બાઈક હંકારીને ઓફિસેથી ઘરે જતા હતા ત્યારે રેલવે સ્ટેશન પાસેના રોડ ઉપર મલીર નજીક બે આખલા ઝઘડતાં રસ્તા વચ્ચે આવી ગયા હતા અને આધેડને ફંગોળ્યા હતા, જેમાં તેમને માથાંના ભાગે ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દરમ્યાન સોમવારના તેમણે આંખો મીચી લીધી હતી. આ અંગે નગરપાલિકા પ્રમુખ તેજસભાઇ શેઠનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, પ્રૌઢના મોતના સમાચાર મળતાં મુખ્ય અધિકારી સાથે સલાહ સૂચન કરાયું છે. તેમજ આ અંગે ઉચ્ચસ્તરેથી મંજૂરી મેળવી કામગીરી શરૂ કરાય તેવું સૂચન પણ કરાયું છે. સાથેસાથે લોકોને પણ જાહેરમાં ઘાસચારો ન નાખવા અપીલ કરાઇ હતી. પૂર્વ કચ્છમાં વારંવાર ગૌવંશની હડફેટે નિર્દોષ લોકોને ઈજાઓ થતી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ભૂતકાળમાં ગૌવંશનાં કારણે મહામૂલી માનવાજિંદગી મોતના ખપ્પરમાં હોમાઈ ચૂકી છે. થોડા સમય પહેલાં રાપરમાં પ્રૌઢનું મોત નીપજ્યું હતું તેમજ ભચાઉમાં કોંગ્રેસના મહિલા અગ્રણીને પણ ઈજાઓ થઈ હતી. તેમ છતાં હજુ કોઈ વ્યક્તિનો ભોગ લેવાની રાહ જોવાતી હોય તેમ કાર્યવાહી આગળ વધતી નથી ત્યારે સુધરાઇ તંત્ર દ્વારા ઘાસચારાના જાહેરમાં ચાલતા વેચાણ સામે ફોજદારી સહિતના કડક પગલાં લેવાય તેમજ ઢોર પકડવાની કામગીરી વહેલી તકે શરૂ કરાય તે જરૂરી છે. અન્યથા હજુ કોઈ મહામૂલી માનવાજિંદગી મોતના મુખમાં ધકેલાઈ જવાની ભીતિ વ્યકત કરાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,મુખ્યમંત્રીના કોન્વેમાં આખલા ઘૂસી જતાં પશુઓને પકડવાની ઝુંબેશ તેજ બનાવાઈ હતી, પરંતુ પાછળથી આ પ્રક્રિયાનું પણ સુરસુરિયું થઇ ગયું હતું.