ભુજ, તા. 7 : અહીંનું સ્મૃતિવન સાંસ્કૃતિક
અને સામાજિક ચેતનાનું જીવંત કેન્દ્ર બન્યું હતું. જન્માષ્ટમીના માહોલ વચ્ચે એનસીસી
દ્વારા મહિલા સશક્તીકરણનો નાદ ગજાવાયો હતો. કચ્છની અસ્મિતા સમાન `સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમ' હવે માત્ર એક સ્મારક પૂરતું સીમિત ન રહેતા,
યુવા ચેતના, સામાજિક જાગૃતિ અને સાંસ્કૃતિક વારસાના
અદભુત ત્રિવેણી સંગમ સમાન બની ગયું છે. કૃષ્ણ જન્મોત્સવને લઈને કચ્છી સંસ્કૃતિ અને
ભક્તિના રંગે પરિસરને રંગવામાં આવ્યું હતું. કચ્છી ભરતકામ અને આભલા જડેલી પરંપરાગત
રંગબેરંગી છત્રીઓ, ફૂલોની આકર્ષક સજાવટ અને મધ્યમાં બિરાજમાન
`લાલાના પારણા' (ઝૂલા)ના મનમોહક શણગારે અહીં આવતા હજારો મુલાકાતીઓને
ભક્તિ અને ઉલ્લાસથી તરબોળ કરી દીધા હતા. ગુજરાત નેવલ યુનિટ એનસીસીના યુવા કેડેટ્સ
દ્વારા `િવકસિત ભારત।઼2047' વિઝન અંતર્ગત એક નુક્કડ નાટક
(શેરી નાટક) પ્રસ્તુત કરવામાં આવ્યું. દેશની દીકરીઓ અને મહિલાઓના સશક્તિકરણ માટે સરકારની
`નઈ રોશની યોજના'નો પ્રચાર કરતા ગણવેશમાં સજ્જ આ યુવાનોએ અભિનય
થકી મુલાકાતીઓને જકડી રાખ્યા હતા. આ `ઈન્ટેલેકચ્યુઅલ એંગેજમેન્ટ વીક' કાર્યક્રમ
ગુજરાત નેવલ યુનિટ એનસીસીના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કમાન્ડર દીપકાંત શર્માના
નેતૃત્વમાં અને સ્મૃતિવન મ્યુઝિયમના ડિરેક્ટર મનોજ કુમાર પાંડેના સહયોગથી યોજાયો હતો.