મુંદરા, તા. 7 : મુંદરામાં વર્ષોની પરંપરા મુજબ
શ્રાવણ વદ નોમના દિવસે ભક્તિભાવપૂર્વક `નાની રવાડી' મહોત્સવ અને દશમના દિવસે ભગવાન બાલકૃષ્ણના દર્શન કરવાની રાજાશાહી વખતની પરંપરા
મુજબ અહીંના ખારવા સમાજ દ્વારા મોટી રવાડી મહોત્સવ ઊજવાયો હતો. રવિવારે 290મી મોટી રવાડીનું આનંદભેર પ્રસ્થાન
અને રથનું પૂજન કરાયું હતું. પૂજાના લાભાર્થી પરિવાર નવીન નરશી કોટિયા પરિવાર રહ્યા
હતા. પ્રારંભમાં ખારવા સમાજના પ્રમુખ રાજેશભાઈ કાષ્ટાએ સ્વાગત કર્યું હતું. મુંદરા-બારોઇ
નગરપાલિકાના પ્રમુખ ભોજરાજ ગઢવી, શહેર
ભાજપ પ્રમુખ અરાવિંદ પટેલે શુભેચ્છા પાઠવી હતી. ખારવા સમાજ દ્વારા મહેમાનોનું સન્માન
કરવામાં આવ્યું હતું. મુંદરા ખારવા સમાજના અધ્યક્ષ દેવજી ચાવડા, મંત્રી મહેશ ચાવડા, મંત્રી મહેશ કષ્ટા, સહમંત્રી ઉમેશ માલમ, ઉપપ્રમુખ દિનેશ પરમાર, ઉપપ્રમુખ જલારામ માલમ, ખજાનચી ભાવિક ચુડાસમા,
ખજાનચી કિશન પરમાર વિ.એ આયોજન સંભાળ્યું હતું. ઓમ મારાજે વિધિ કરાવી
હતી. સંચાલન ધર્મેન્દ્ર જેસરે અને આભારવિધિ હીનલબેને કરી હતી. આ પહેલાં નોમના પર્વે
`નાની રવાડી' શોભાયાત્રા યોજાઈ હતી. જેનો રણછોડરાયજી મંદિરથી
પૂજન બાદ વાજતે-ગાજતે આરંભ થયો હતો અને મુખ્ય માર્ગો પર ફરી હતી. રથયાત્રા દરમિયાન
નગર `જય રણછોડ, માખણચોર'ના જયઘોષથી ગૂંજી
ઊઠયું હતું. માર્ગો પર ભક્તો દ્વારા ઠેર-ઠેર રાસની રમઝટ બોલાવવામાં આવી હતી.