અર્પિત ગંગર તરફથી : મુંબઈ, તા. 7 : જૈન સમુદાયમાં જાગૃતિ લાવવા
માટે અને જિનત્વનાં દર્શનને વિસ્તારી જૈન ધર્મને પ્રોત્સાહન આપવા માટે બાબુ અમીચંદ
પનાલાલ આદિશ્વરજી જૈન ટેમ્પલ ચેરિટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર) તથા રાજપરિવારની મદદથી કરાયેલા
`શાસન વિરાસત સેમિનાર'નું આયોજન કરાયું હતું, તેનો મુખ્ય હેતુ ઘણા જૈન લોકો અજૈન બની
ધર્મના નિયમોનું પાલન ન કરતા હોવાથી તેઓ જૈન ધર્મના નિયમો પાળે અને અણિશુદ્ધ
જૈન બની રહે તેમજ જૈન લોકો અને જૈન ધર્મનાં સંરક્ષણ માટે પ્રેરિત કરવાનો હતો.
દેશમાં હાલ ત્રણ રાજ્યમાં જૈન ધર્મ વ્યાપક
ભારતમાં જૈન ધર્મ વ્યાપકપણે અનુસરતા ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત
અને રાજસ્થાન છે. આ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરતા લોકોને શ્રાવક કહેવાય છે.
આ ધર્મની શરૂઆત ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં થઈ હતી. પશ્ચિમ
બંગાળ, ઝારખંડ અને ઓડિશામાં આશરે 525 ગામમાં 15 લાખ જૈનોની વસ્તી છે. ત્યાંના
જૈન લોકોને સારક કહેવામાં આવે છે. શ્રાવક શબ્દ
સારક બનવાનું કારણ કે એ છે કે બંગાળમાં `વ' અક્ષરનો ઉચ્ચાર
કરવામાં આવતો નથી. અહીંના લોકો પ્રાચીન સમયથી શાકાહાર જેવા જૈન સિદ્ધાંતોનું પાલન કરે
છે. જો કે, તેઓ જૈન સમુદાયના મુખ્ય ભાગથી અલગ થઈ ગયા છે. સારક
જૈન તરીકે જન્મે છે, પરંતુ તેમને જૈન ધર્મ વિશે બહુ ઓછું અથવા
કોઈ જ્ઞાન હોતું નથી. પૂ. આચાર્ય વિજય રાજેન્દ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ પાસે આ સારક
ક્ષેત્રમાં વસતા લોકોને જૈન ધર્મથી વાકેફ કરવાની દૃષ્ટિ હતી. આ સારકની સફર 2009માં તેમના શિષ્ય આચાર્ય રાજ
પરમસૂરિશ્વરજી મહારાજનાં માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી. જે ગામડાંઓમાં જૈન ધર્મનો પ્રચાર
ઓછો થયો હતો ત્યાં મહારાજ સાહેબે બહોળા પ્રમાણમાં કામ કર્યું અને લોકોને દેરાસર, પાઠશાળાઓ અને ઉપાશ્રય બનાવવા માટે પ્રેરિત કર્યા
હતા. મુંબઈના બિરલા માતુશ્રી હોલમાં આયોજિત આ શાસન વિરાસત સેમિનારમાં લગભગ 1,000 લોકો અને જૈન સમુદાયના ઘણા
સંતોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ અતીતને જાણવાનો,
વર્તમાનને સમજવાનો અને જિન સમુદાયના ભવિષ્યને સુરક્ષિત કરવાનો સંકલ્પ
સમાન બની રહ્યો હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું.
એક છીએ તો સેફ છીએ : પૂ. રાજધર્મ વિજયજી
પૂ. રાજધર્મ વિજયજી મહારાજ સાહેબે પોતાના વક્તવ્યમાં `1 અને 1ને મળીને 2 થઈ જાય એ ગણિતની પરિભાષા છે. 1 અને 1 મળીને 11 થઈ જાય એ
સંગઠનની પરિભાષા છે. 1 અને 1 મળીને 1 જ રહે એ પ્રેમની પરિભાષા છે. 1 અને 1 મળીને 0 થઈ જાય એ
અધ્યાત્મની પરિભાષા છે. 1ની સામે 1ને ઊભું કરવામાં આવે એ રાજનીતિની પરિભાષા
છે. 1ને 1થી મળવા ન દેવામાં આવે એ કૂટનીતિની પરિભાષા છે. 1 છે તો સેફ છે એ ધર્મનીતિ અને રાષ્ટ્રનીતિની
પરિભાષા છે, અને આપણે સૌએ 1 થઈને જૈનત્વ માટે કઈંક કરવાનું છે.' સેમિનારમાં
અપાયેલી વિગતો મુજબ, દર 3માંથી 1 જૈન કન્યા આંતરજાતીય લગ્ન કરી રહી છે. પારસીઓ પછી જૈનો વસ્તીની
દૃષ્ટિએ બીજા નંબરનો સૌથી નાનો સમુદાય છે.
આજે માત્ર 44 લાખ જૈન : પૂ. નયપદ્મસાગર સૂરિશ્વરજી
આચાર્ય નયપદ્મસાગર સૂરિશ્વરજી મહારાજે કહ્યું હતું કે, `2200 વર્ષ પહેલાં
40 કરોડ જૈન, 1300 વર્ષ પહેલાં
16 કરોડ જૈન, 900 વર્ષ પહેલાં
8.5 કરોડ જૈન, 500 વર્ષ પહેલાં
3.5 કરોડ જૈન અને આજે સમગ્ર વિશ્વમાં
ફક્ત 44 લાખ જૈન છે. બંગાળી, તમિલ, કન્નડ અને મરાઠી
ભાષાઓમાં જૈન આચાર્યોનું યોગદાન છે. જૈનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કેમ કે, તેમની ધાતુ, સોનું, ઝવેરાત,
રસાયણો, કાગળ, બાંધકામ,
શેરબજાર અને પ્લાસ્ટિક જેવાં મુખ્ય ક્ષેત્રોમાં મજબૂત હાજરી છે.