ભુજ, તા. 14 : સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં 11 વર્ષ આ વિષય અંતર્ગત કચ્છ જિલ્લા
ભાજપ દ્વારા વ્યાવસાયિક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના અગ્રણી વક્તાઓ દ્વારા પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીના નેતૃત્વના 11 વર્ષના સુશાસનની છણાવટ કરવામાં હતી. વકીલો, ડોક્ટરો, લેખકો,
સાહિત્યકારો તેમજ પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ અવસરે
પ્રધાનમંત્રીના 11 વર્ષનાં શાસનની સિદ્ધિઓ, સફળતા અને સીમાચિહ્નો દર્શાવતી એક વશિષ્ટ પ્રદર્શની
પણ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે
આવકારતા જણાવ્યું હતું કે, છેલ્લાં 11 વર્ષથી શાસનમાં સ્વશાસનથી સુશાસન
સુધીની સફરમાં જે વિકાસના માપદંડો ઊભા કર્યા છે જેના પરિણામ સ્વરૂપે પ્રજાની સુખાકારીમાં
વધારો થયો છે તેમજ દેશની ગરિમાને એક માનબિંદુ સુધી પહોંચાડી છે. પ્રદેશ ભાજપ મહામંત્રી
અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષ અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકે 11 વર્ષનો કાર્યકાળ નરેન્દ્રભાઈનો
પૂર્ણ થયો છે ત્યારે દેશ અને ગુજરાત આજે દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યા
છે. ગુજરાત રાજ્યને વિકાસના દરેક આયામોમાં સર્વોચ્ચ સ્થાન અપાવીને દેશને વિકાસની રાજનીતિનું
ઉત્તમ ઉદાહરણ છે. પ્રદેશ આઈ.ટી. સેલના કન્વીનર નિખિલ પટેલે જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિના રોલ મોડલ તરીકે ગુજરાત રાજ્ય
સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થયું છે. જિલ્લા ભાજપ પ્રભારી કશ્યપ શુકલાએ જણાવ્યું હતું
કે, આપણા દેશે સ્વ. જવાહરલાલ નેહરુનો તેમજ સ્વ. ઈન્દિરા ગાંધીજીનો
કાર્યકાળ જોયો છે, પરંતુ તેમના કાર્યકાળ કરતાં ઓછા સમયમાં નરેન્દ્રભાઈએ
દેશની સંપૂર્ણ કાયાપલટ કરી. ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ
જાડેજા, ત્રિકમભાઈ છાંગા, પક્ષના મહામંત્રીઓ
દિલીપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ, ધવલ આચાર્ય
સહિતના ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપ અધ્યક્ષ મીત ઠક્કર અને ભુજ શહેર ભાજપ સંગઠનના
હોદ્દેદારો, નગરસેવકો તેમજ કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન
સમસ્ત અભિયાનના ઈન્ચાર્જ હિતેશ ખંડોરે, જ્યારે આભારવિધિ સહ ઈન્ચાર્જ
રવિભાઈ ત્રવાડીએ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં
જણાવાયું હતું.