ગાંધીધામ, તા. 14 : સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાં કાર્યરત એમ્બ્યુલન્સને 108માં તબદીલ કરવાનો નિર્ણય લેવામાં
આવ્યો છે અને હોસ્પિટલો તથા આરોગ્યને વિભાગમાં પરિપત્ર પણ આપી દેવામાં આવ્યો છે. પરિવર્તિત
કરવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ 108નો રસીકરણ, સગર્ભા મહિલાઓને લઈ જવા અને લઈ આવવા સહિતની
કામગીરીમાં ઉપયોગ કરવો કે નહીં, તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી
નથી, જેના કારણે ગાંધીધામ સહિત જિલ્લાના આરોગ્ય વિભાગની મૂંઝવણ
વધી રહી છે. હાલના સમયે આરોગ્ય વિભાગમાં કાર્યરત
એમ્બ્યુલન્સનો રસીકરણમાં તથા સગર્ભા મહિલાઓને લઈ આવવા અને મૂકવા જવા માટે ઉપયોગ કરાય
છે, આ ઉપરાંત આરોગ્ય શિબિર તથા જિલ્લામથકે હોસ્પિટલોની દવા લેવા
માટે પણ એમ્બ્યુલન્સ મોકલવામાં આવે છે. આ ઉપરાંત પણ આરોગ્ય સેવા સંબંધિત કામગીરી માટે
એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એમ્બ્યુલન્સને 108માં પરિવર્તિત કરવાની કાર્યવાહી
થઈ રહી છે. જો 108ને આરોગ્યની આ અલગ-અલગ તમામ
સેવાઓમાં ઉપયોગ લેવાની મનાઈ ફરમાવવામાં આવશે, તો આરોગ્ય સેવાઓ ઉપર ગંભીર અસર પડવાની વકી છે. સરકાર દ્વારા 108નો ઉપયોગ અન્ય આરોગ્ય સેવામાં
લઈ શકાશે કે નહીં તે બાબતની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે મૂંઝવણ વધી રહી છે. આરોગ્ય વિભાગ
દ્વારા ભાડાના વાહનો રાખીને કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ
ઘણી સેવાઓ એમ્બ્યુલન્સ સિવાયના વાહનોમાં સંભવ નથી, તો બીજી તરફ
જો 108નો ઉપયોગ આરોગ્ય વિભાગની અન્ય
સેવાઓમાં કરવાનો થાય, તો રાજ્યસ્તરે
કોલ કરવો કે શું તુરંત સેવા મળી શકે કે નહીં, આ બધા ઘણા જટિલ
પ્રશ્નો છે અને સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. એટલા માટે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા
હોવાનું સેવાઓ સાથે જોડાયેલા નિષ્ણાતો કહી રહ્યા છે. આગામી સમયમાં સરકાર આ તમામ બાબતોને
લઈને માર્ગદર્શિકા બહાર પાડે તે જરૂરી છે.