ભુજ, તા. 13 : મહારાષ્ટ્રમાં અટકી ગયેલું
ચોમાસું ફરી સક્રિય બની ગુજરાત તરફ આગળ વધવાના અનુકૂળ સંજોગ સર્જાયા છે. તેવામાં હવામાન
વિભાગે આજથી આખું અઠવાડિયું છૂટોછવાયો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. પવનની
ગતિ વધતાં મહત્તમ પારો નીચે ઊતર્યો હોવા છતાં ભેજયુક્ત બફારામાંથી લોકોને મુક્તિ મળી
નહોતી. આકાશમાં વાદળોની આવનજાવન પણ જોવા મળી હતી.
હવામાન વિભાગે 20મી જૂન સુધીના
આપેલા વર્તારામાં હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી કરી છે. 16થી 18 જૂન દરમિયાન વરસાદની તીવ્રતા અને વિસ્તાર વધુ રહે તેવું અનુમાન
વ્યક્ત કરવામાં આવ્યું છે. અંજાર - ગાંધીધામમાં
38.3, ભુજમાં 37.6 ડિગ્રી તાપમાને તાપમાં રાહત
મળી, પણ ઉકળાટનો માહોલ યથાવત્ રહ્યો હતો. હવામાન
વિભાગે મહત્તમ તાપમાં હજુ ઘટાડો થશે તેવી સંભાવના દેખાડી છે, પણ તેની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં બફારાથી જનજીવન પરસેવે રેબઝેબ
થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. દરમિયાન છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળોની આવનજાવન
જોવા મળવા સાથે ગાડરી ઢળતાં હવે ચોમાસાંનું આગમન નજીકમાં હોવાના સાનુકૂળ સંકેત મળી
રહ્યા છે. હવામાન નિષ્ણાતોના મતે અરબી સમુદ્રમાં ફરી હલચલ જોવા મળી રહી છે,
જેનાં કારણે જૂનના અંત સુધી નૈઋઍત્યનું ચોમાસું કચ્છ સહિત આખા ગુજરાતને
આવરી લે તેવા ઊજળા સંજોગ ઊભા થયા છે.