ગાંધીધામ, તા. 13 : શહેરમાં દબાણકારો સામે તંત્રે સતત બીજા દિવસે કાર્યવાહી ચાલુ રાખી હતી, જેના કારણે દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. મહાનગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણ હટાવવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ગઈકાલે ટાગોર રોડ ઉપર દબાણ તંત્રે તવાઈ બોલાવી હતી. આજે જ માર્ગ વહીવટી તંત્રનું બુલડોઝર આગળ વધ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા ઈફ્કોથી રોટરી સર્કલ સુધીના ભાગમાં રસ્તાની બાજુમાં ખડકાયેલાં અતિક્રમણોને દૂર કરવામાં આવ્યાં હતાં. આજે રોટરી સર્કલ, ઓશિયા મોલ સહિતના ભાગોમાં 40થી વધુ દબાણને દૂર કરવામાં આવ્યાં હતાં તેમજ 5થી વધુ બિનવારસુ કેબિનને દૂર કરવામાં આવી હતી. ટાગોર રોડ ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમ્યાન કેટલાક દબાણકારોએ પોતાનો સરસામાન સર્વિસ રોડ ઉપર ગોઠવ્યો હતો. તંત્રના અધિકારીઓએ ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં અંદર ખસી ગયેલા દબાણકારો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. માહિતગારોએ વધુમાં ઉમેર્યું હતું કે, આ માર્ગ ઉપર છેક આદિપુર સુધી દબાણ હટાવવા ઝુંબેશ ચલાવવામાં આવશે. ટાગોર રોડ ઉપર દબાણનાં કારણે જટિલ ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાનાં પગલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. કેટલીક વખત અતિક્રમણોનાં કારણે અકસ્માતો પણ થતા હતા.તંત્રની આ કાર્યવાહીની અસર દબાણકારો ઉપર કેટલા સમય સુધી રહેશે તે જોવું રહ્યું.