ભુજ, તા. 13 : કચ્છમાં હવે રક્તદાન પ્રત્યે
દિવસે દિવસે જાગૃતિ વધી રહી છે. વ્યક્તિગત ધોરણે લોકો જરૂર પડે ત્યારે તેમજ જિલ્લામાં
ગ્રામ વિસ્તાર સુધી કાર્યરત સામાજિક અને વ્યાવસાયિક સંસ્થાઓ રક્તદાન કેમ્પ યોજીને જાગૃતિનું કામ કરતી હોતાં તેઓ પણ પ્રત્યક્ષ રીતે
લોકોને પ્રેરણા આપે છે. અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના બ્લડબેન્કના હેડ
ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાયે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે જણાવ્યું કે, રક્તદાન કરવાની સાથે કોઇની મહામૂલી જિંદગી તો
બચી જ શકે છે સાથે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યની સાચી જાણકારી પ્રાપ્ત કરવા ઉપરાંત રક્તદાનથી
ભાવનાત્મક આરોગ્યમાં સુધારો જોવા મળે છે. રક્તની જરૂરિયાત અનેક કારણોને લીધે હોય છે.
કોઇ દુર્ઘટનામાં ઘાયલો, ગર્ભવતી મહિલાઓ, ઓપરેશન કરાવેલા પીડિત, થેલેસેમિયા દર્દીઓ માટે તેમજ કેન્સર
અને એનિમિયાના દર્દીઓને પણ રક્તની વારંવાર જરૂર પડતી હોવાથી રક્ત સંગ્રહ એક પડકારરૂપ
બની રહે છે. બ્લડબેન્કના આસિ. પ્રો. ડો. સુમનબેન ખોજાએ કહ્યું કે, આજે પણ ટેક્નોલોજીના યુગમાં લાંબા સમય સુધી રક્તનો સંગ્રહ કરી શકાતો નથી એટલે
જ તેની અછત લગાતાર જોવા મળે છે. પરિણામે સમયાંતરે રક્ત મેળવવા રક્તદાતાઓને અનુરોધ કરવામાં
આવે છે, એમ બ્લડબેન્કના કાઉન્સેલર દર્શન રાવલે જણાવ્યું હતું.
રક્તદાન કરવાથી શરીરમાંથી રક્ત ઓછું થઇ જાય છે, એવો છુપો ભય કે
ભ્રાંતિ લોકોમાં હોવાથી ક્યારેક રક્તદાન કરવાથી લોકો દૂર રહે છે. એ બાબતે તબીબોએ કહ્યું કે, સામાન્ય રીતે એક
યુનિટ રક્તદાન કરવાથી શરીરની કુદરતી રચના જ એવી હોય છે કે, બે-ત્રણ
દિવસમાં જ લોહી બની જાય છે. રક્તદાન પૂર્વે કેટલીક બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઇએ,
જેમ કે પૂરતું પાણી પીવું જરૂરી છે. ખાલી પેટે રક્તદાન ન થાય એ આવશ્યક
છે. કોઇને ગંભીર બીમારીનાં લક્ષણ હોય તો પણ રક્તદાન ન કરી શકાય. એકવાર રક્તદાન કર્યા
પછી ચાર મહિને રક્તદાનની સલાહ અપાય છે, તેમ છતાં કોઇ સમસ્યા જણાય
તો તબીબો જ રક્ત લેવાની મનાઇ કરે છે.