નખત્રાણા, તા. 13 : તાલુકાના જાડાય, વ્યાર, બેરૂ ગામના સીમતળમાં
રામદેવરા ફાર્મ બગીચામાં 15 વિવિધ જાતના
દેશી-વિદેશી ફળો ઉપજાવી વિક્રમ સાધ્યો છે. નવી ટેકનોલોજી અને સંશોધન દ્વારા ઓછાં વૃક્ષોમાં
ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરી નખત્રાણાના ખેડૂત યશવંતસિંહ રાઠોડે કચ્છમાં ભૂતકાળમાં કદી
ન ઊપજ્યાં હોય તેવાં અનેક ફળોની બાગાયતી પેદાશો ઉત્પન કરી છે. આ અંગે કચ્છમિત્રને વિસ્તૃત
માહિતી આપતાં શ્રી રાઠોડે જણાવ્યું હતું કે, બાગાયતી ખેતીના વિશાળ અદ્યતન બગીચાનું નિર્માણ કરીને તેમાં ખાસ કરીને કેરી,
કાળા અને સફેદ જાંબુ, સફરજન, અંજીર, ચીકુ, ડ્રેગન, રાયણ, લિયાર, પપૈયા, ફણસ, ગૂગળ, સીતાફળ, જામફળ, હનુમાનફળ, રામફળ,
બોર જેવી વિવિધ 15થી વધુ જાતોના ફળોનું વાવેતર કરી પોતાની કોઠાસૂઝ અને આધુનિક
ટેકનોલોજી પદ્ધતિથી પાણીની પિયત-માવજત કરી ઓછા ખર્ચે ઓર્ગેનિક સ્વદેશી છાણીયું (કુદરતી
ખાતર)થી ઉત્તમ ગુણના ફળોનું ઉત્પાદન કર્યું છે. કેરીની જાતોમાં ખ્યાલ પણ ન હોય તેવી
કેરી (આંબા)ની પેદાશો વાડીમાં ઊગાડી છે. આમ્રપાલી,
કેસર, દેશી કલમ કરેલી સુધારેલી જાત, જંબો કેસર, મોટી નૂરજહાં, સિન્દૂરી,
બદામ, હાફુસ, રાજાપુરી,
લંગડો, દશેરી, એપલ મેંગો,
નીલમ, સુંદરી, તોતા,
બારમાસી સહિતની 16 જાતની કેરીના વૃક્ષો તથા 15થી વધુ અન્ય ફળોનાં વૃક્ષો ઉગાડી પેદાશી ફળોનું સ્થાનિકથી આંતરરાજ્ય
-વિદેશોમાં ઓનલાઈન વેચાણ યોગ્ય પેકિંગ સહિતની સુવિધાઓ વિકસાવીને પૂરી પાડી છે. તેમજ
પોતાના અનુભવથી અન્ય ખેડૂતોને પણ બાગાયતી ખેતી કરવા પ્રેરણા પૂરી પાડી છે. નૂરજહાં, જંબો કેસર, રાજાપુરી જેવી
કેરીના 500 ગ્રામથી બે કિલો વજન ધરાવતા
વિશાળ કદના ફળો પકવીને ઓર્ગેનિક ફળોની પેદાશનું ઉત્પાદન કરીને વિક્રમ સાધ્યો હોવાનું
યાદીમાં જણાવાયું હતું.