ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 13 : ગાંધીધામ શહેરને મહાનગરપાલિકાનો
દરજ્જો મળ્યા પછી હવે ભુજ પણ મહાનગરપાલિકા બનવા ભણી આગળ વધી શકે છે. કેમ કે, અડધો માધાપરનો વિસ્તાર અને મિરજાપરને પણ ભાડાની
હદમાં સમાવેશ કરાયા પછી ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા અંદરખાનેથી ચાલતી કાર્યવાહી
પ્રમાણે મિરજાપરમાં ટાઉન પ્લાનિંગની રચના કરવાનું આયોજન હાથ ધરાયું છે. 2025માં ટી.પી., ડી.પી.ની સુધારણા કરવાની હોવાથી મિરજાપરમાં
ત્રણ ટીપી સ્કીમ અમલવારી થાય એ દિશામાં ગણેશ બેસાડવામાં આવ્યા છે. કોઈ નગરની ટાઉન પ્લાનિંગ
પ્રમાણે રચના થાય તો ભવિષ્યમાં આ નગરમાં અનેક માળખાંકીય સુવિધા વિકસાવી શકાય છે. ધરતીકંપ
પછી ભુજ શહેરનું ટાઉન પ્લાનિંગ હાથ ધરવામાં આવતું હતું. જો કે, અનેક મિલકતધારકોને કોર્ટ અંદરના વિસ્તારમાં પોતાની મિલકતો ગુમાવવાનો વખત આવ્યો,
પણ રિલોકેશન સાઈટમાં મળેલી મોકળાશ એ ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી બની છે.
2001ના ધરતીકંપ બાદ શહેરનું ટાઉન
પ્લાનિંગ પ્રમાણે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું,
પરંતુ કોર્ટ બહારના વિસ્તારમાં ડી.પી. એટલે કે, ડેવલપમેન્ટ પ્લાન મુજબ શહેરની ફરતે રિંગરોડ બન્યા, પણ
અંદાજે 30 જેટલા ડી.પી. રોડ સૂચિત દર્શાવાયા
પછી 24 વર્ષે પણ આ ડી.પી. રોડની ચિંતા
શહેરીજનોનાં માથેથી હળવી થતી નથી. - નવી દરખાસ્ત કરાશે : જો આ ડી.પી. રોડ 2025માં સૂચિત કરાયા પછી પણ 2025માં એક રોડનું નિર્માણ થયું
નથી, છતાં 800 મિલકત એવી છે જ્યાં બાંધકામની પરવાનગીના કિસ્સા અદ્ધરતાલ હોવાનું જાણવા
મળતાં હવે પછી ડી.પી. રોડનું ભવિષ્ય શું આ બાબતે ભાડાના મુખ્ય કારોબારી અધિકારી અને
ભુજ પ્રાંત ડો. અનિલ જાદવે જણાવ્યું હતું કે, નવેસરથી બોર્ડ બેઠક બોલાવી જ્યાં જરૂર
નથી એવા ડી.પી. રોડને રદ કરવાની દરખાસ્ત સરકારમાં કરવામાં આવશે. નવા ડી.પી. રોડ છે
જેમાં 9થી 40 મીટરની પહોળાઇનો સમાવેશ થાય છે અને આવા રોડની સંખ્યા અંદાજે
30 છે. ડી.પી. રોડના રસ્તાની લંબાઇ
કેટલી છે ? આ બાબતે જે.ટી.પી. માહેશ્વર રાઠોડે કહ્યું
કે, 101.394 મીટરની કુલ્લ લંબાઇ છે. - 300 મિલકત કપાય : 2001માં જે રીતે ડી.પી. પ્લાન બનાવવામાં
આવ્યા છે તે મોટાભાગે કચેરીમાં બેસીને રસ્તા
બેસાડવામાં આવ્યા હોવાથી ડી.પી. રોડ સૂચિત દર્શાવાય છે ત્યાં હકીકતમાં સોસાયટીનાં મકાનો
ઊભાં હોવાથી જો આ ડી.પી. રોડ બને તો 300 મિલકતો કપાય તેવી વિગતો અત્યાર સુધી અખબારોનાં પાને અનેક વખત
પ્રગટ થઇ ચૂકી છે. આ મુદ્દે ડો. જાદવ કહે છે કે,
કોઇના ઘર કપાત થાય તેવું ઇચ્છતા નથી, એટલે જ નવેસરથી
પ્લાન બનાવી જ્યાં જરૂર નથી એવા રોડ રદ કરવાની દરખાસ્ત કરવામાં આવશે. - રાજકીય ઇચ્છાશક્તિ : ખરેખર ભુજવાસીઓને આ ડી.પી. રોડની સમસ્યા
24 વર્ષથી સતાવી રહી છે. કોઇ વિકાસ
યોજના અમલ થતી નથી છતાં સૂચિત દર્શાવ્યા કરે છે. 2015થી હવે 20ર5, જો આમ જ રહ્યું તો 2035 સુધી પણ આ જ રોડ સૂચિત બોલશે
કેમ કે ડી.પી. રિવાઇઝ દર 10 વર્ષે થાય
છે. મજબૂત રીતે રાજકીય દબાણ કરવામાં આવે તો સામાન્ય મિલકતધારકોને રાહત થઇ શકે છે. આ
કામ માટે ઇચ્છાશક્તિ હોવી જરૂરી છે તેવું જાણકારોએ કહ્યું હતું. - મિરજાપરમાં ટાઉન પ્લાનિંગ : ભુજની ભાગોળે આવેલા મિરજાપર ગામમાં ટાઉનપ્લાનિંગ
હાથ ધરવા ભાડા દ્વારા સર્વે માટે ત્રણ કંપનીઓને કામગીરી સોંપવામાં આવી હોવાને ભાડાના
સીઈઓ ડો.અનિલ જાદવે સમર્થન આપ્યું હતું. ભવિષ્યમાં ભુજ જો મહાનગરપાલિકા બને તો આસપાસના
વિસ્તારો પણ તેમાં સમાવિષ્ટ થઈ જાય તેવી વ્યવસ્થાના ભાગરૂપે મિરજાપરમાં ત્રણ ટી.પી.
સ્કીમ બનાવવા મથામણ ચાલે છે. કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય તો તેમાં ટી.પી. કેવી રીતે બને
આ બાબતે ભાડાના ટાઉન પ્લાનરે પ્રકાશ પાડયો હતો. - રેકર્ડના આધારે સર્વે : ડીઆઈએલઆરના રેકર્ડ પ્રમાણે એજન્સીઓ દ્વારા ત્રણ ટી.પી. માટે
મિલકતોનો સર્વે કરવામાં આવશે. માલિકી પ્રમાણે
ખરાઈ થયા બાદ નવેસરથી ટાઉન પ્લાનિંગ પ્રમાણે નગરની રચના થાય. ખાલી પ્લોટ, રસ્તા, મકાનો વગેરેના
સર્વે બાદ ભવિષ્યના આયોજન પ્રમાણે વ્યવસ્થા ગોઠવવામાં આવે. ક્યાંક પ્લોટ કપાત થઈ શકે
પણ બાંધકામ શક્ય એટલા બનાવવામાં આવતા હોય છે. મિરજાપર ભાડાની હદમાં હોવાથી કોઈ પણ પ્રકારના
બાંધકામ માટે ભાડાની પરવાનગી લેવી ફરજિયાત છે. - જી.ડી.સી.આર.ના નિયમો : સર્વે બાદ ટી.પી.ની જવાબદારી માટે ભાડાની
બોર્ડ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે. જી.ડી.સી.આર. (જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલર
રેગ્યુલર)ના નિયમો લાગુ પડી શકે છે અને ટી.પી. ફાઈનલ કરવા ત્રણ તબક્કે ડ્રાફ્ટ, પ્રિલીમ અને ફાઈનલ થયા બાદ ટી.પી. પર પ્લોટ
પાડવામાં આવે છે. ટાઉન પ્લાનરના કહેવા પ્રમાણે આ કામની અમલવારી પહેલાં વાંધા-સૂચન મગાવવામાં
આવશે. - ગ્રામ પંચાયતની
બે હજાર મિલકતને થશે અસર : ભુજ, તા. 13 : મિરજાપરમાં જો ટૂંક સમયમાં
ટી.પી. સ્કીમ અમલી બને તો અંદાજે બે હજાર મિલકતોને અસર થઈ શકે છે. જો કે, હજુ સ્થાનિકે ગામમાં ટી.પી. અંગેની કોઈ જાણકારી
નથી, પણ તલાટી જયકિશન ગોસ્વામીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું
હતું કે, ગ્રામ પંચાયત આકારણી રજિસ્ટર પ્રમાણે બે હજાર મિલકત
નોંધાયલી છે. અંદાજે 15 હજારની વસ્તી
ધરાવતા આ મિરજાપરમાં નવા ગામ કરતાં આસપાસમાં છથી વધુ મોટી-મોટી સોસાયટીઓ બની ચૂકી છે.
બાંધકામની મંજૂરી ભાડા પાસેથી લેવામાં આવે છે પણ નવી સોસાયટીઓની મિલકતો ગ્રા.પં.માં
નથી અને નગરપાલિકામાં પણ નથી. મોટાભાગની અદ્ધરતાલ છે. ક્યાંક મિરજાપર ગ્રા.પં. પાણી
આપે છે, ક્યાંક નગરપાલિકા, પણ
મિલકત વેરો ક્યાંય ભરાતો નથી. આ અવ્યવસ્થાનાં કારણે ભલે આલીશાન મકાનો બન્યાં,
લોકો સોસાયટીઓમાં રહે છે, પણ કોની માલિકી એ નક્કી
થતું નથી.