ભુજ, તા. 20 : અહીંની અદાણી મેડિકલ કોલેજમાં
શરૂ થયેલી પોસ્ટગ્રેજ્યુએટ કક્ષાની નવમી બેચના તબીબો માટે ત્રણદિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમ
યોજાયો હતો. જુદી-જુદી 17 તબીબી વિદ્યાશાખાથી
બનેલી નવમી બેચમાં 89 એમબીબીએસ
તબીબે પ્રવેશ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓને આવકારતા અદાણી હેલ્થકેર ગ્રુપના વડા ડો. પંકજ
દોશીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ સાથે દરેક પ્રકારના
સહયોગ આ સંસ્થાની પ્રતિબદ્ધતાની ખાતરી આપી હતી. ગેઈમ્સના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી
પિલ્લાઈએ તબીબી વ્યવસાયને વધુ ઉજાગર કરવા કહ્યું હતું. ઘર જેવા વાતાવરણનો અહેસાસ થાય
તે હેતુસર યોજાયેલા ત્રણદિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યાર્થીઓને કોલેજના
શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક વિભાગોથી વાકેફ કરાયા હતા તથા રિસર્ચ વર્ક અને સંસ્થાની વિવિધ
તાલીમથી અવગત કરાયા હતા. વિદ્યાર્થીઓએ કાર્યક્રમ અંગે પ્રતિભાવો આપ્યા હતા. જી. કે.
જનરલ અદાણી હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. નરેન્દ્ર હિરાણી, આસિ. ડીન ડો. અજિત ખીલનાની સહિત તમામ વિભાગના
વડા તથા તબીબો ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ કોલેજના એકેડેમિક વિભાગે કાર્યક્રમને સફળ
બનાવવા જહેમત ઉઠાવી હતી. સંચાલન આસિ. મેનેજર ડો. મોનાલી જાનીએ કર્યું હતું.