કોટડા (ચકાર), તા.
10 : પંથકના રેહા નાના, રેહા મોટા, કોટડા આથમણા, ઉગમણા, જાંબુડી અને ચકાર ગામના લોકો
દ્વારા ગટરના દૂષિત પાણી ઝાંપેથી પસાર થતી ભુખી નદીમાં છોડવામાં આવે છે જે આગળ ખેંગાર
સાગર ડેમમાં જાય છે. આ કારણે ગંદકીથી માખી-મચ્છરો સાથે અનેક સમસ્યાઓ સર્જાય છે. નદીમાં
ચોમાસાનું પાણી સૂકાય ને પાછું ગટરનું પાણી પાંચથી છ કિ.મી. નદી પટ્ટમાં ભરાઇ જાય છે.
આ અંગે સણોસરાના માજી સરપંચ શંભુભાઇ જગમાલ રબારીએ કલેક્ટરને રજૂઆત કરી હતી. નદી કાંઠે
દવાખાના, ગૌશાળા, મંદિર, પોલીસ સ્ટેશન, પંચાયતો જેવા સ્થળો છે ત્યારે આ સમસ્યાનો કાયમી
ઉકેલ લાવવા માંગ કરાઇ હતી. સાથો સાથે આ પંથકના ભેડ માતાજી, સરાણ માતાજી મંદિરોને પ્રવાસનધામ
તરીકે વિકસાવવા કલેક્ટર તેમજ પ્રવાસનમંત્રીને આવેદનપત્ર દ્વારા શંભુભાઇ રબારી (માજી
સરપંચ)એ માંગ કરી હતી. કચ્છના જાણીતા માલધારી, પશુપાલકોના આસ્થાના સ્થળે ભાતિગળ મેળો
પણ ભરાય છે તેમજ વીજળી, પાણી, રસ્તાની સહિતની સુવિધા છે ત્યારે આ માગણીને સ્વીકારવા
ભક્તો દ્વારા ખાસ માંગ કરાઇ હતી.