નવી દિલ્હી, તા. 27 : કેનેડાના
વડા પ્રધાન માર્ક કાર્ની ચાર દિવસના પ્રવાસને લઈને ભાત આવી પહોંચ્યા છે તેઓ બીજી માર્ચે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે. કાર્ની
શુક્રવારે બપોરે મુંબઈ પહોંચ્યા હતા. કેનેડાના વડાપ્રધાન ઓફિસના સત્તાવાર નિવેદન અનુસાર
કાર્ની ભારત મુલાકાતની શરૂઆત મુંબઈથી થશે. આ મુલાકાતનો હેતુ બન્ને દેશના સંબંધને મજબૂત
કરવાનો છે અને વ્યૂહાત્મક સહયોગને આગળ વધારવાનો છે. કાર્નીના આ પ્રવાસમાં રોકાણ અને
ટ્રેડ ડીલ ઉપર ધ્યાન કેન્દ્રિત રહેશે. વિદેશ
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કાર્નીની મુલાકાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ ઉપર
થઈ રહી છે. તેઓનો આ પીએમ બન્યા બાદ પહેલો સત્તાવાર ભારત પ્રવાસ છે. જેનો હેતુ બન્ને દેશના સંબંધને મજબૂત બનાવવાનો અને
સહયોગ માટે નવી ભાગીદારીની સંભાવના શોધવાનો છે. મુંબઈ પહોંચેલા કાર્ની બે દિવસ ભારતીય
અને કેનેડીયન હિતધારકોના અલગ અલગ ગ્રુપ સાથે વાતચીત કરવાના હતા. જેમાં સીઈઓ, ઈન્ડસ્ટ્રીઝ, ફાયનાન્શિયલ
એક્સપર્ટ, ઈનોવેટર્સ, એજયુકેટર્સ અને ભારતમાં
રહેલા કેનેડિયન પ્રતિનિધિમંડળ સાથે વાતચીત સામેલ છે. કેનેડાના પીએમ પહેલી માર્ચના દિલ્હી
જશે જ્યારે બીજી માર્ચે હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત
કરશે. આ ઉચ્ચ સ્તરની વાતચીતમાં અલગ અલગ ક્ષેત્રોને સામેલ કરવામાં આવશે. જેમાં ટ્રેડ,
રોકાણ, એનર્જી, જરૂરી મિનરલ્સ,
કૃષિ, શિક્ષણ અને રિસર્ચ સામેલ છે.