અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના ગરબાએ વધુ એક સિદ્ધી મેળવી છે. યુનેસ્કોએ 6 ડિસેમ્બર 2023ના ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. 22 માર્ચ 2024ના આ સન્માન યુનેસ્કોના ડાયરેક્ટર જનરલે પેરિસમાં ગુજરાત સરકારના મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાને આપ્યું છે. આમ, યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું છે. આજે વિશ્વમાં ગરબાએ પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. આ વિશે ટ્વિટ કરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને સાથે જ કહ્યું કે, ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની અમૂર્ત ધરોહર ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. આદ્યશક્તિના પ્રખર ઉપાસક અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિક વિરાસતોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, તેમના માર્ગદર્શનમાં નવીન ઉપક્રમ તરીકે રાજ્યમાં શરૂ કરાયેલ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી છે અને નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગરબાને વૈશ્વિક સ્તરે યુનેસ્કો દ્વારા સન્માન મળ્યું એ વડાપ્રધાનના વિકાસ ભી, વિરાસત ભી ના ધ્યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના છે.