ભુજ, તા. 26 : ધરતીકંપ બાદ શહેરમાં ભુજિયા ડુંગરની તળેટીમાં નિર્માણ પામેલી ભુજ ગ્રેઇન એન્ડ સીડસ મર્ચન્ટ એસો. સંચાલિત નવી જથ્થાબંધ બજારમાં અનધિકૃત બાંધકામ બાબતે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ભાડા) દ્વારા નોટિસો પાઠવી હાથ ધરેલી કાર્યવાહી સામે અદાલતે મનાઇહુકમ આપતો આદેશ કર્યો હતો. ભાડા દ્વારા અનધિકૃત બાંધકામ દૂર કરવા બાબતે અંતિમ નોટિસ આપી આવાં બાંધકામ તોડી પાડવા બાબતે તજવીજ કરતા બજારના વેપારી કાંતિલાલભાઇ જેરામભાઇ ગણાત્રા સહિતના 137 વેપારીએ અદાલત સમક્ષ ધા નાખી હતી. અત્રેના છઠ્ઠા અધિક સિનિયર સિવિલ જજની કોર્ટમાં આ બાબતે સુનાવણી હાથ ધરાયા બાદ મનાઇહુકમ ફરમાવતો ચુકાદો અપાયો હતો. ન્યાયાધીશ એચ.એ. બારડે આ ચુકાદો આપતા ભાડાની કાર્યવાહીને ગેરકાયદેસરની તથા બંધારણ અને ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધની ગણાવી હતી. ભાડા કોઇ તોડફોડ ન કરે તથા વેપારીઓને કોઇ અંતરાય અડચણ ન કરે તેવો આદેશ તેમણે કાયમી મનાઇહુકમ આપતા કર્યો હતો. આ કેસમાં અરજદારોના વકીલ તરીકે કૌશલ કિરણ ગણાત્રા, વિજય બી. ત્રિપાઠી, અરવિંદ કે. સોની, વિપુલ એન. ઠક્કર અને ભુમિતગિરિ એમ. ગોસ્વામી રહ્યા હતા. - ઉચાપત કેસમાં આગોતરા : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી લોન મેળવ્યા બાદ રૂા. 1.73 લાખની ઉચાપત થવા બાબતના માધાપર પોલીસ મથકના કેસમાં કુલ 19 આરોપી પૈકીના ત્રિકમભાઇ લખમણ ચાડને આગોતરા જામીન અપાયા હતા. અત્રેના છઠ્ઠા અધિક સેશન્સ જજની અદાલતે આ આદેશ કર્યો હતો. આ કેસમાં ત્રિકમભાઇના વકીલ તરીકે એમ.કે. ઘાવરી રહ્યા હતા.