મુંદરા, તા. 6 : મુંદરા તાલુકાના દેશલપરની સરકારી જમીન પરના
ખેતીનાં દબાણ અને સમાઘોઘાની સરકારી ટ્રાવર્સ જમીનમાં થયેલાં વાણિજ્ય હેતુનાં
દબાણને અહીંની મામલતદાર કચેરીએ કરેલી કાર્યવાહીમાં મુકત કરાયાં હતાં. આ બે દબાણોની
કુલ બજાર કિંમત અંદાજે રૂ. 55,34,648 થાય છે. સત્તાવાર વિગતો મુજબ, દેશલપરની સરકારી સ. નં. 36નાં ક્ષેત્રફળ 48,259 ચો.મી.
સરકારી જમીનમાં થયેલું ખેતીનું દબાણ તેમજ તાલુકાના સમાઘોઘાની સરકારી ટ્રાવર્સ સ.
નં. 369 પૈકીના
ક્ષેત્રફ્ળ 2000 ચો.
મી. સરકારી જમીનમાં થયેલાં વાણિજ્ય હેતુનાં દબાણ બાબતે મુંદરા મામલતદારે કાર્યવાહી
હાથ ધરી હતી. રજૂઆતની તક બાદ એ જમીનમાં દબાણ દૂર કરવાનો હુકમ કરાયો હતો. આ બંને
દબાણવાળી જમીન 50,259 ચો.
મી. થાય છે અને જંત્રી દર મુજબ બજાર કિંમત કુલ રૂ. 55,34,648 થાય
છે. આ બંને દબાણવાળી જમીન પર ગત શનિવારે કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા અને મુંદરા
પ્રાંત અધિકારી બી. એચ. ઝાલાનાં માર્ગદર્શન હેઠળ મુંદરા મામલતદાર કે. એસ.
ગોંદિયાની ટીમ દ્વારા સ્થળ પર હાજર રહેતાં એ જમીન પરનાં દબાણને દબાણકર્તાઓ દ્વારા
સ્વેચ્છાએ દૂર કરાયું હતું અને જમીનનો સરકાર પક્ષે કબજો લેવાયો હતો.