ભુજ, તા. 6 : દેશ-વિદેશના પ્રવાસીઓ જેમની આતૂરતાથી રાહ જોતા
હોય છે એ ધોરડોના સફેદ રણમાં ઊજવાતા રણોત્સવનો પહેલી નવેમ્બરથી પ્રારંભ થશે.
પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવનાં આયોજનની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે
તેમણે ધોરડોના સફેદ રણને વિશ્વનું તોરણ બનાવવા માટે રણોત્સવનો પ્રારંભ કર્યો હતો.
પ્રથમ ત્રણ દિવસ માટે ઊજવાતો રણોત્સવ હવે ચાર મહિના કરતાં લાંબો સમય સુધી ચાલે છે.
પહેલી નવેમ્બરથી શરૂ થનારો રણોત્સવ સાતમી માર્ચના સમાપ્ત થશે. 127 દિવસના
ગાળા દરમિયાન દેશ-વિદેશના લાખો પ્રવાસી સફેદ રણનું સૌંદર્ય અને કચ્છનું આતિથ્ય
માણશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ઊજવાતા રણોત્સવમાં
લાખોની સંખ્યામાં પ્રવાસી કચ્છ આવતાં ચાર માસ સુધી પ્રવાસનની સિઝન પૂરબહારમાં
ખીલતી હોય છે. રણોત્સવની સાથે અન્ય પ્રવાસનધામો પ્રવાસીઓથી ઊભરાવા સાથે સ્થાનિક
ધંધાર્થીઓ માટે રોજગારીની ઊજળી તકો સર્જાતી હોય છે.