તેલઅવીવ, તા. 6 : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ અને
અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતીને લઈને વધી
રહેલા તણાવ વચ્ચે ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખ બેન્જામિન નેતન્યાહુનું એક મોટું નિવેદન
સામે આવ્યું છે. નેતન્યાહુએ અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સના એ દાવાને સ્પષ્ટપણે
ફગાવી દીધો છે, જેમાં વેન્સે કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં અમેરિકા જ ઇઝરાયલનો એકમાત્ર શક્તિશાળી સાથી દેશ બચ્યો છે.
નેતન્યાહુએ અમેરિકી ન્યૂઝ ચેનલ `ફોક્સ ન્યૂઝ'ને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતનો ખાસ ઉલ્લેખ કરીને વેન્સને જડબાંતોડ જવાબ
આપ્યો છે. નેતન્યાહુએ જે.ડી. વેન્સના નિવેદનનો જવાબ આપતાં હળવા અંદાજમાં અને
કટાક્ષમાં જણાવ્યું કે, `અમારી પાસે બીજા પણ ઘણા મિત્રો છે. જેમ કે ભારત
જેવો એક `નાનો' દેશ, તમે જાણો છો ને, ત્યાં 1.4 અબજ
(140 કરોડ)
લોકો રહે છે અને સાચું કહું, તો અમને ત્યાંથી જબરદસ્ત
સમર્થન મળી રહ્યું છે.' તેમણે ઉમેર્યું કે, `મને
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પણ ભારત તરફથી ખૂબ જ મોટો સપોર્ટ મળે છે.
મારું ફેસબુક પર એકાઉન્ટ છે અને ત્યાં ભારતીય યુઝર્સ મને ભારે સમર્થન આપી રહ્યા
છે. ઇઝરાયલ પાસે મિત્રોની કોઈ કમી નથી.' બીજી તરફ ઈઝરાયલમાં
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકાર અને સુપ્રીમકોર્ટ વચ્ચેનો વિવાદ હવે એક
મોટી બંધારણીય કટોકટીમાં ફેરવાઈ ગયો છે. રવિવારે ઈઝરાયલી કેબિનેટે સર્વસંમતિથી એક
અભૂતપૂર્વ નિર્ણય લીધો છે, જે મુજબ સરકાર સુપ્રીમકોર્ટના
આદેશને સ્વીકારશે નહીં. સુપ્રીમકોર્ટે દેશના કોમર્શિયલ મીડિયા રેગ્યુલેટર `સેકન્ડ
ઓથોરિટી ફોર ટેલિવિઝન એન્ડ રેડિયો' (જઅઝછ)ને
પોતાનું કામ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. ખુલ્લી ચેલેન્જ ફેંકી છે. ઈઝરાયલના
ઇતિહાસમાં આ પ્રથમ એવો કિસ્સો છે, જ્યારે કોઈ સરકારે દેશની
સર્વોચ્ચ અદાલતના આદેશને સત્તાવાર રીતે ફગાવી દીધો હોય. આ વિવાદની શરૂઆત ગયા મહિને
થઈ હતી, જ્યારે સુપ્રીમકોર્ટે સરકારના એ નિર્ણયો પર રોક
લગાવી દીધી હતી, જેના હેઠળ મીડિયા રેગ્યુલેટરની નવી કાઉન્સિલ
(પરિષદ) બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અદાલતે આદેશ આપ્યો હતો કે,
હાલની કાઉન્સિલ જ પોતાનું કામ ચાલુ રાખે. અદાલતનું માનવું હતું કે,
કાઉન્સિલના કેટલાક સભ્યોના રાજીનામા રાજકીય દબાણ હેઠળ આપવામાં આવ્યા
હોઈ શકે છે. જો કે, નેતન્યાહુ સરકારે અદાલતના આ વલણને નકારી
કાઢયું છે. સંચાર મંત્રી શ્લોમો કારહી અને ન્યાય મંત્રી યારિવ લેવિને એક સંયુક્ત
નિવેદનમાં જણાવ્યું કે, અદાલતને કાયદાને કચડવાનો કોઈ અધિકાર
નથી. જે નિર્ણય કાયદાની વિરુદ્ધ હશે, તેને સરકાર માન્યતા
નહીં આપે.