મુંદરા, તા. 28 : ભુજ તાલુકાના દહીંસરા ગામના
એક ગૌવંશ હત્યા મામલે બે નિર્દોષ યુવાન ઉપર ખોટા કેસ કરાયા હોવાની અને ખરેખર ગૌવંશ
હત્યા કરનાર તથા કરાવનાર જવાબદારો સામે ગુનો નોંધી,
સસ્પેન્ડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે. અખિલ કચ્છ
સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ સલીમભાઈ જત અને અન્ય આગેવાનોએ બોર્ડર રેન્જ
આઈ.જી.ને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, આ કહેવાતા ગૌવંશ હત્યા
પ્રકરણમાં ધરપકડ કરાયેલા નિર્દોષ મુસ્લિમ યુવાનો પર થયેલા કેસો તાત્કાલિક અસરથી રદ
કરવામાં આવે તેમજ જવાબદાર સામે ગુનો નોંધાય. પત્રમાં વધુમાં આક્ષેપ પણ કરાયો હતો કે,
આ કૃત્ય પોલીસ કર્મીઓ દ્વારા ખોટા કેસ ઊભો કરીને થયું છે અને તેની પાછળના
કારણોની તપાસ થાય. ખરેખર ગૌવંશ કતલ કરનારા ઇસમો રામપર-વેકરા મધ્યે ગ્રામજનો દ્વારા
ચોરી કામે પકડાયેલા હતા અને આ ઈસમોએ સોશિયલ મીડિયામાં જાહેર પણ કર્યું હતું કે,
ગૌવંશવાળા બનાવમાં એ પોલીસ કર્મીઓના કહેવાથી ગૌહત્યા કરાઈ છે. આમ ખોટા
કેસ કરવાના બદઇરાદે આ કેસ ઊભો થયો છે. પોતાને નોકરીમાં પ્રમોશન અને વાહવાહી માટે આ
કૃત્ય થયું હોય એવું લાગે છે, જેથી નિર્દોષ યુવાનોને તાત્કાલિક
છોડી દેવામાં આવે અને પશુઓને પરત કરવામાં આવે.