ભુજ, તા. 13 : જે-તે સમયે કચ્છ અને બૃહદ કચ્છમાં
ભારે ચકચારી બનેલા મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ
અનોપસિંહ પઢિયારને અંતે રાજ્યની વડી અદાલતે જામીન આપ્યા છે. આ ચર્ચાસ્પદ કેસમાં જામીન
મેળવનારા આ ત્રીજા આરોપી છે. ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ હસમુખ સુથારે આ ચુકાદો આપતાં
કેસની ટ્રાયલ કોર્ટ દ્વારા દૈનિક ધોરણે ટ્રાયલ ચલાવવામાં ઉદાસીનતા દાખવાઈ છે અને બે
માસમાં કેસ પૂરો થઈ શક્યો નથી તેવી ટીકા કરવા સાથે ન્યાયના સિદ્ધાંત મુજબ આરોપીને જામીન
મળવાપાત્ર છે તેમ જણાવ્યું હતું અને કોર્ટની મંજૂરી વિના ગુજરાત રાજ્ય ન છોડવા તેમજ
જ્યાં સુધી ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી દરેક તારીખે કોર્ટ સમક્ષ હાજર થવા સહિતની
શરતોને આધીન રહી જયેન્દ્રસિંહને જામીનમુક્તિ આપવાનો હુકમ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય
છે કે, આ કેસમાં સ્થાનિકથી લઈ રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલત
સુધી કાયદાકીય જંગ સાથેના ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. આ અગાઉ બે આરોપીને જામીન મળ્યા
પછી તત્કાલીન પોલીસ અધિકારીને જામીન મળ્યા છે. જામીન મેળવનારા આ ત્રીજા આરોપી છે. આ
કેસમાં તત્કાલીન પીઆઈ વતી વકીલ તરીકે ચિરાયુ
એ. મહેતાએ હાજર રહી દલીલ કરી હતી.